કાસગંજના અમાનપુર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય સત્યવીર છેલ્લા 10 વર્ષથી ભાડાના મકાનમાં રહીને વેલ્ડિંગની દુકાન ચલાવતા હતા. છેલ્લા ચાર દિવસથી તેમની દુકાન બંધ હતી અને શટર પણ ખુલ્યું નહોતું. શનિવારે સાંજે જ્યારે કેટલાક ગ્રાહકો દુકાને આવ્યા અને અંદર ડોકિયું કર્યું, ત્યારે સત્યવીરનો મૃતદેહ ફાંસીએ લટકતો જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા અંદરથી સત્યવીરની પત્ની રામશ્રી(50), પુત્રી પ્રાચી(12), અમરવતી(10) અને પુત્ર ગિરીશ(10)ના મૃતદેહ એક જ પલંગ પર પડેલા મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સત્યવીરનો પુત્ર ગિરીશ લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડાતો હતો. તેના ઈલાજ માટે સત્યવીરને મોટી રકમની જરૂર હતી, પરંતુ તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. સત્યવીરના પત્નીની બહેને જણાવ્યું કે, તે મદદ માટે ગામમાં પણ ગયા હતા, પરંતુ ક્યાંયથી આર્થિક સહાય મળી શકી નહોતી. બીમાર પુત્રની ચિંતા અને ગરીબીના કારણે સત્યવીર ભારે તણાવમાં હતા, જે આ પગલાં પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.

અલીગઢ રેન્જના ડીઆઈજી પ્રભાકર ચૌધરીએ જણાવ્યું કે, રૂમ અંદરથી બંધ હતો અને કોઈના બળજબરીથી પ્રવેશવાના પુરાવા મળ્યા નથી. સત્યવીરનો મૃતદેહ લટકતી હાલતમાં હતો, જ્યારે તેની પત્નીના ગળા પર ઈજાના નિશાન હતા. ત્રણેય બાળકોના શરીર પર ઈજાના કોઈ ચિહ્નો નથી. પોલીસ એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે સત્યવીરે પહેલા બાળકોને ઝેર આપ્યું હશે, ત્યારબાદ પત્નીની હત્યા કરી હશે અને અંતે પોતે ફાંસી લગાવી લીધી હશે. હાલ પોલીસ તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.
