વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં તંત્રએ રજૂઆતો ધ્યાને નહિ લીધી હોવાની ગંભીર બેદરકારી ખુલ્લી પડયા પછી પણ તંત્રએ કોઇ બોધ લીધો નથી.જેને કારણે ફરી એકવાર હોડી પલટી જવાનો બનાવ બનતાં દોડધામ મચી ગઇ હતી.

તૂટી પડેલો ગંભીરા બ્રિજ નવો બની રહ્યો હોવાને કારણે વૈકલ્પિક રૃટ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આખરે મજબૂરીને કારણે સરેરાશ રોજ ૮૦૦થી વધુ લોકો હોડીમાં જોખમી હેરાફેરી કરતા હતા. માત્ર હોડી ઓવરલોડ જ નહિ પણ તેમાં ટુવ્હીલરોની પણ હેરાફેરી કરવામાં આવતી હતી.
ગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે તેવી રજૂઆત કરનાર મુજપુરના જિલ્લા પંચાયતના સદસ્યએ ગંભીરા જવા માટે હોડીઓની જોખમી હેરાફેરી પ્રત્યે તંત્રને એલર્ટ રહેવા અને બંને બાજુ ફાયર બ્રિગેડના જવાનો તૈનાત રાખવા રજૂઆત કરી હતી.પરંતુ આ વખતે પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવી નહતી.જેને કારણે હોડી પલટી જવાનો બનાવ બનતાં ફરી એકવાર મોટી જાનહાનિ થતાં રહી ગઇ હતી.એવી પણ વિગતો જાણવા મળી છેકે,હરણી બોટ કાંડ બાદ તમામ સ્થળોએ હોડીઓમાં લાઇફ જેકેટ અને લાઇસન્સ માટે સૂચનાઓ આપવામાં આવી છે.પરંતુ હોડી પલટી જવાની દુર્ઘટનામાં આ મુદ્દે પણ તંત્રની બેદરકારી સામે આવી છે.
એક દિવસ પહેલાં મોટી ભરતી આવી હતી,ગંભીર ઘટના બનતાં રહી ગઇ
હોડી પલટી જવાનો બનાવ બન્યો તેના એક દિવસ પહેલાં જ મહીસાગરમાં પૂનમની મોટી ભરતી આવી હતી.જેમાં નદીનું સ્વરૃપ દરિયા જેવું દેખાતું હોય છે અને વહેણ પણ વધુ હોય છે.ભરતીની અસર એક-બે દિવસ રહેતી હોય છે.આજે ભરતીના પાણી ઓસરવા માંડયા હોવાથી ગઇકાલ કરતાં ઓછું વહેણ હતું અને તેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

