શહેરની આગવી ઓળખ સમી માંડવી ઈમારત તો ખસ્તાહાલ છે જ અને હવે ન્યાયમંદિરની ઈમારત પણ એ જ રસ્તે આગળ વધી રહી છે.

ન્યાયમંદિર ખાતેથી કોર્ટની કામગીરીને જૂના પાદરા રોડ નજીકના નવા સંકુલમાં ખસેડવામાં આવ્યા બાદ સત્તાધીશો ન્યાયમંદિરની ઐતિહાસિક ઈમારતનું શું કરવું તે અંગે હજી સુધી નિર્ણય લઈ શક્યા નથી અને બીજી તરફ આ ઈમારતની આસપાસનો વિસ્તાર ધીરે ધીરે કચરાપેટીમાં ફેરવાઈ રહ્યો છે.
આ બાબતે અગાઉ પણ રજૂઆત કરી ચૂકેલા જાગૃત નાગરિક કલ્પેશ પટેલનું કહેવું છે કે, કોર્પોરેશનના શાસકોએ ઈમારતની આસપાસ હવે રેલિંગ ઉભી કરી છે પણ તેનાથી પણ આ ઈમારતની દુર્દશા અટકી રહી નથી. ઈમારતની દીવાલોને અડીને જ કચરો નાંખવામાં આવી રહ્યો છે.કચરો નાંખવાની મનાઈ છે તેવું બોર્ડ જ્યાં લગાવાયું છે ત્યાં જ કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે.આસપાસ ઉભી રહેતી ખાણી પીણીની લારીઓનો કચરો ન્યાયમંદિર પાસે જ ઠલવાઈ રહ્યો છે.જાળવણીના અભાવે ન્યાયમંદિરની દીવાલો પર ઝાડી ઝાંખરા પણ ઉગી રહ્યા છે.તેમના કહેવા પ્રમાણે આ પ્રવૃત્તિ અટકાવવા માટે કોઈ પગલા નથી લેવાયા તો બીજી તરફ કચરો પણ નિયમિત રીતે સાફ કરાતો નથી.જે રેલિંગો ઉભી કરવામાં આવી છે તે અર્થહીન બની ગઈ છે અને તેની પાછળનો લાખો રુપિયાનો ખર્ચ માથે પડયો છે.

