વડોદરા શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં પાણીની સુવિધા પૂરી પાડવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. પાણી વેરાના નામે શહેરીજનોજ પાસેથી ઉઘરાવેલા નાણાનું પૂરતું વળતર શહેરીજનોને મળતું નથી. ટેન્કરોથી પાણી મંગાવવું પડે છે. કેટલાય વિસ્તારમાં દૂષિત અને ગંદા પાણીના કારણે લોકોને પીવાના પાણીના જગ મંગાવીને ચલાવવું પડે છે.

જ્યારે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની વહાલા દવલાની નીતિ સામે કારેલીબાગ-અમિતનગર બ્રિજ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેથી ઉનાળાના પ્રારંભે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થતાં રોડ રસ્તા પર પીવાના પાણી ઠેર ઠેર ફરી વળ્યા હતા. વિવિધ વિસ્તારોમાં વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ થતું હોવા છતાં પણ તંત્રની આંખ ખુલતી નથી. તંત્ર દ્વારા જાતજાતના વેરા ઉઘરાવવામાં આવે છે પરંતુ વેરાના નાણાનું યોગ્ય વળતર અને પ્રાથમિક જરૂરિયાતો શહેરીજનોને મળતી નથી.

