વડોદરાના ગોરવા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બહાર થયેલી હત્યાના બનાવમાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગોરવા ગરાસીયા મહોલ્લામાં રહેતા અબ્દુલભાઈ ઉર્ફે અમીજી ઘાંચી બે દિવસ અગાઉ પાનના ગલ્લે હતા. તે દરમિયાન સોહિલ રાણા સાથે કોઈ કારણસર બોલાચાલી થતા સોહીલે તેમને બે લાફા માર્યા હતા. જેથી અબ્દુલભાઈ તેના પુત્રને બનાવની જાણ કરી હતી.
સોમવારે રાત્રે બનેલા આ બનાવ બાદ 10:30 વાગે અબ્દુલભાઈ તેના પુત્રને મળી ગોરવા પોલીસ સ્ટેશનને જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ સોહીલ રાણા તેમજ તેના બનેવી સંદીપ વાઘેલા સ્કૂટર પર આવ્યા હતા અને મારા મારી કરી હતી.
આ દરમિયાન સંદીપ વાઘેલાએ કોઈ સાધન વડે અબ્દુલભાઈના માથામાં ફટકા મારતા તેમનું પોલીસ સ્ટેશનની બહાર જ મોત નીપજ્યુ હતું. જેથી ગોરવા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં બંને સાળા-બનાવીને ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

