ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. શહેરના મહુડી ભાગોળ રેલ્વે ફાટકથી લઈને નવીનગરી સુધીના મુખ્ય માર્ગ પર ડ્રેનેજના ઢાંકણાઓ તૂટી ગયા છે અને જમીનમાં બેસી ગયા છે. લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યા અંગે રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપતા ખાડા માર્ગ પર ડ્રેનેજના ઢાંકણા તૂટી જવાને કારણે ઊંડા ખાડા પડી ગયા છે. અહીંથી પસાર થતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોને ગાડી ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માત થવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. રાહદારીઓ પણ જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે.
વડોદરા જેવી દુર્ઘટનાની ભીતિ
તાજેતરમાં જ વડોદરામાં ગટરના ખાડામાં પડી જવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના હજુ તાજી છે, ત્યારે ડભોઇના નાગરિકો સવાલ કરી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જો અહીં કોઈ જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ નગરપાલિકાના કાગળ પરના વિકાસ સામે હવે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે નગરજનોની મુખ્ય માંગણીઓ તૂટેલા અને બેસી ગયેલા ડ્રેનેજના ઢાંકણાઓનું તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે.જરૂર જણાય ત્યાં તાત્કાલિક નવા મજબૂત ઢાંકણા નાખવામાં આવે.
ચોમાસા કે રાત્રિના સમયે અકસ્માત ન થાય તે માટે યોગ્ય આયોજન કરવામાં આવે.

સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવે. જો વહેલી તકે કામગીરી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

