ડભોઈ તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ને જોડતા મુખ્ય માર્ગ પર ભીલાપુર અને રાજલી ગામના ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણી આખરે સંતોષાઈ છે.ઢાઢર નદી પર ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી આ માર્ગ પર એક લાંબુ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે, આ લાંબા અને અસુરક્ષિત ડાયવર્ઝનને કારણે વારંવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા હતા, જેના પરિણામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.

રોષે ભરાયેલા ગ્રામજનોએ કર્યો ચક્કાજામ
વારંવાર થતા અકસ્માતો અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને ભીલાપુર અને રાજલી ગામના લોકોએ સાથે મળીને રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો. લોકોની આ લાગણીસભર રજૂઆત અને સખત વિરોધને પગલે પ્રશાસન હરકતમાં આવ્યું હતું.

૨૪ કલાકમાં નિર્ણય: ડાયવર્ઝન નજીક કરાયું
સ્થાનિકોની ગંભીર માંગણી અને સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને સ્ટેટ હાઇવે આર એન્ડ બી (R&B) ના અધિકારીઓએ ત્વરિત પગલાં લીધા હતા. ચક્કાજામના માત્ર ૨૪ કલાકની અંદર જ, અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને લોક માંગણી મુજબ ડાયવર્ઝનને અકસ્માત થવાની શક્યતા ઓછી હોય તેવા વધુ નજીકના સ્થળે ફેરવી દેવાનો નિર્ણય લીધો.આ ત્વરિત કામગીરી અને નિર્ણયને કારણે અકસ્માત થવાના બનાવો નહીં બને તેની ખાતરી મળી છે.ગ્રામજનોની સલામતીની ચિંતાનો અંત આવ્યો છે.

ગામજનોમાં ખુશીની લહેરઅધિકારીઓએ સ્થાનિકોની સમસ્યા સમજીને યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરતાં, ભીલાપુર અને રાજલી ગામના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. ગામજનોએ તેમની માંગણી સ્વીકારવા બદલ સ્ટેટ હાઇવે આર એન્ડ બીના અધિકારીઓ તેમજ આ મુદ્દાને ઉજાગર કરનાર મીડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.આ નિર્ણયે દર્શાવ્યું છે કે જનતાની શક્તિ અને વહીવટી તંત્રની સંવેદનશીલતા મળે તો ગંભીર સમસ્યાઓનો પણ ઝડપી અને સંતોષકારક ઉકેલ લાવી શકાય છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

