વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભઠ્ઠા નજીક તૂટેલી ડ્રેનેજ ચેમ્બરનું સમારકામ ન થતાં સ્થાનિક રહીશોએ મંજીરા વાગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ રહેવાસીઓએ નિદ્રાધીન તંત્રને જગાડવા માટે આ અનોખો માર્ગ અપનાવ્યો હતો. પરશુરામ ભઠ્ઠાથી દર્શનમ તરફ જતાં મુખ્ય માર્ગ પર છેલ્લા એક અઠવાડિયાથી ડ્રેનેજ ચેમ્બરનું ઢાંકણું તૂટેલું છે. રહીશોના જણાવ્યા મુજબ, અનેકવાર મ્યુ. કોર્પોરેશનને જાણ કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બે દિવસ અગાઉ એક કાર આ ખુલ્લી ચેમ્બરમાં ખાબકતા ફસાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટના પછી લોકોમાં ભયનો માહોલ છે. મુખ્ય માર્ગ પર ઢાંકણું તૂટેલું હોવાથી રોજબરોજ વાહનચાલકો અને પદયાત્રીઓ માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. રહીશો માંગ કરી રહ્યા છે કે, તંત્ર તાત્કાલિક અસરથી સમારકામ કરે અને વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જરૂરી પગલા ભરે.

