જ્યોતી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંસ્થામાં કામ માટે ગયેલી ૧૬ વર્ષની સગીરા પર ટ્રસ્ટના સંચાલકે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા અન્ય એક યુવાને પણ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા ગર્ભવતી થતાં સમગ્ર મામલો બહાર આવતા આખરે પોલીસે ગુનો નોંધી ટ્રસ્ટના સંચાલક સહિત બંને બળાત્કારીઓની ધરપકડ કરી છે.

૧૬ વર્ષની સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પુત્રી મકરપુરા વિસ્તારમાં આવેલી જ્યોતી ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કામ માટે ગઇ હતી ત્યારે ટ્રસ્ટના ૩૭ વર્ષના સંચાલક પંકજ રમેશભાઇ પરમાર (રહે.શ્રીજી વસાહત, દશામાતાના મંદિર પાસે, માણેજા, મૂળ રહે.શીનોર ગામ, તા.ડભોઇ)એ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ ઉપરાંત મારી પુત્રી ૨૦ વર્ષના જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઇ ગોહિલ (રહે.વીએમસી ક્વાટર્સ, ટીપી-૧૩, છાણીજકાતનાકા)ના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવી હતી ત્યારે જતીન ઉર્ફે આદેશે પણ પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમિયાન પુત્રી ગર્ભવતી થયાની જાણ થઇ હતી પરંતુ મારા પતિની તબિયત સારી રહેતી નહી હોવાથી પુત્રીએ ડરના કારણે કશું કહ્યું ન હતું. પતિના એક મિત્રએ હિંમત આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત વિગતોની ફરિયાદ બાદ પોલીસે ટ્રસ્ટના સંચાલક પંકજ રમેશભાઇ પરમાર અને જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઇ ગોહિલની ધરપકડ કરી હતી જ્યારે પીડિતાના પેટમાં ગર્ભ કોનો છે તે દિશામાં પણ મેડિકલ તપાસ કરવામાં આવશે.

