નિઝામપુરામાં સાંઇ કન્સલટન્સીના નામે ઓફિસ શરુ કરી વિદેશ મોકલવાની લાલચ આપી ૪.૬૫ કરોડની છેતરપિંડી કરનારા રાજેન્દ્ર શાહ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૭ ગુના દાખલ થયેલા છે. આરોપીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ૧૧ ગુનામાં જામીન મેળવવા માટે ૧૧ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે આરોપીની તમામ જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, રાજેન્દ્રકુમાર મનહરલાલ શાહ (રહે.ઉમીયાનગર,ન્યૂ સમા રોડ)એ નિઝામપુરા વિસ્તારમાં સાંઇ કન્સ્લટન્સીના નામથી ઓફિસ ખોલી હતી. આરોપી વિવિધ દેશના સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ વિઝિટર વિઝા અપાવવાનું કામ કરતો હતો અને અનેક લોકોએ તેની ઓફિસમાં વિઝા મેળવવા માટે આરોપીને નાણાં ચૂકવ્યા હતા. અસંખ્ય લોકો પાસેથી માતબર રકમ મેળવ્યા બાદ આરોપીએ લોકોનેવિઝા અપાવ્યા ન હતા અને તે ઓફિસ તેમજ ઘર બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આરોપી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ભોગ બનેલા ૧૧ લોકોએ અલગ અલગ ફરિયાદ દાખલ કરી હતી.પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં તપાસ અધિકારીએ જામીન અરજી નામંજૂર કરવી જોઇએ તેવી રજૂઆત સાથે જે સોગંદનામુ રજૂ કર્યું હતું તેમાં રજૂઆત કરી હતી કે, આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૭ ગુના દાખલ થયેલા છે. તપાસમાં ૯૩ લોકો પાસેથી આરોપીએ રૃા.૪.૬૫ કરોડ જેવી માતબર રકમ મેળવ્યા બાદ આ રકમ પરત કરી નથી. જો આરોપીને જામીન આપવામાં આવશે તો ફરાર થઇ જશે. ન્યાયાધીશે આરોપી સામે ગંભીર ગુનો હોઇ અરજદારની અરજી નામંજૂર કરી હતી.

