સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કોયલીમાંથી પકડેલા ૩૮ લાખના દારૃ અને વાહનો સહિત કુલ ૫૩ લાખના કેસમાં ત્રણેય ભાગીદારોનો કોઇ પત્તો નથી.

કોયલી સંતરામ મંદિર પાછળ દારૃના કટિંગ દરમિયાન એસએમસીએ દરોડો પાડતાં ત્રણ ખેપિયા પકડાઇ ગયા હતા.જેની તપાસમાં નામચીન સુનિલ ઉર્ફે અદો,લાલચંદ ઉર્ફે લાલુ અને મનોજ પાપડના મુખ્ય સંચાલક તરીકે નામો ખૂલ્યા હતા.
ઉપરોક્ત ગુનાની તપાસ છાણી પોલીસ કરી રહી હોવાથી છાણી પીઆઇ આરએલ પ્રજાપતિએ તમામ આરોપીઓની કોલ્સ ડીટેલ કઢાવી છે.તો બીજીતરફ ત્રણેય સંચાલકોના મોબાઇલ બંધ થઇ ગયા છે.
આ બનાવમાં ભાયલીમાં રહેતા ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ગોરધન પાટણ વાડિયાનું પણ નામ ખૂલ્યું હતું.પાદરા પોલીસે તેની ધરપકડ કરી હોવાથી એસએમસીના કેસમાં ધરપકડ કરવા માટે છાણીના પીઆઇએ ટ્રાન્સફર વોરંટ રજૂ કરાવ્યું હતું.જો કે ટ્રાન્સફર વોરંટ મારફતે ગોરધન પકડાય તે પહેલાં જ તેનો જામીન પર જેલમાંથી છૂટકારો થઇ જતાં હવે તેને શોધવા દોડધામ થઇ રહી છે.

