ડભોઇ છોટાઉદેપુરથી વડોદરાના પ્રતાપ નગર જઈ રહેલી ટ્રેનમાં ડભોઇ રેલવે સ્ટેશને સાંજે લગભગ સાત કલાકે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો . ટ્રેનના એન્જિનના પેન્ડોર દ્વારા ઉપરના વીજ વાયર ને સ્પર્શ થવાથી જોરદાર સ્પાર્ક થયો હતો, જેના પગલે મુસાફરો ગભરાઈ ઉઠ્યા હતા.

છોટાઉદેપુરથી વડોદરાના પ્રતાપનગર તરફ જતી ટ્રેન સાંજે અંદાજે સાત કલાકે ડભોઇ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. આ સમયે, ટ્રેન ઉપરથી પસાર થતા વીજ વાયરમાં અચાનક મોટો સ્પાર્ક થયો હતો.જાણવા મળ્યા મુજબ, એન્જિનનું પેન્ડોર (જે વીજળી મેળવવા માટે વીજ વાયરને અડે છે) વીજ વાયર ઉપરની પ્લાસ્ટિકની પટ્ટીને અડી જતા આ સ્પાર્ક સર્જાયો હતો. આ સ્પાર્ક એટલો જોરદાર હતો કે મોટા અવાજ સાથે વીજળીના તણખા ઝર્યા હતા. આ ઘટનાના કારણે ટ્રેનની અંદરના અને પ્લેટફોર્મ પરના મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.ત્વરિત કાર્યવાહીથી ટળી મોટી દુર્ઘટના
ઘટનાની જાણ થતાં જ ટ્રેનના પાયલોટે તુરંત જ સંબંધિત અધિકારીઓને આ અંગેની માહિતી આપી હતી. જોકે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રેલવેના એક કર્મચારીએ સૂઝબૂઝ અને ત્વરિત કાર્યવાહી કરી હતી.

કર્મચારી દ્વારા લાકડીની મદદથી એન્જિન ઉપરનું પેન્ડોર નીચે કરવામાં આવ્યું અને ત્યારબાદ વીજ વાયર પર આવેલી પ્લાસ્ટિકની પટ્ટીને દૂર કરી દેવામાં આવી. આ ક્ષતિ દૂર થયા બાદ પેન્ડોરને ફરીથી ઊંચું કરવામાં આવ્યું. ક્ષતિ દૂર થતાં જ ટ્રેનનું સંચાલન પુનઃસ્થાપિત થયું હતું.આ કાર્યવાહી બાદ ટ્રેનને કોઈપણ વિલંબ વગર વડોદરા પ્રતાપ નગર તરફ રવાના કરવામાં આવી હતી. કર્મચારીની આ તત્કાલ કામગીરીના કારણે મોટી અડચણ ટળી હતી અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

