ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર અને જાગૃત યુવા નેતા ઇમ્તિયાઝ પટેલ દ્વારા પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સીધા મેદાનમાં ઉતરીને સત્તાધીશોની બેદરકારી સામે આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. પ્રજાની વેદના સમજીને ઇમ્તિયાઝ પટેલે પોતાનાથી બનતા પ્રયાસો દ્વારા લોકોની પડખે ઊભા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ઇમ્તિયાઝ પટેલ દ્વારા તેમના ગામ રહાડથી લઈ આંકોટાના મુખ્ય માર્ગની બંને સાઇડ પર ઊગી નીકળેલા જોખમી ઝાડી-ઝાંખરાની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વયંભૂ પગલાં દ્વારા તેમણે તંત્રની નિષ્ક્રિયતાને ખુલ્લી પાડી છે. તેમણે આકરા શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે નજીકની ગ્રામ પંચાયતને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં, તેઓએ આખ આડા કાન કરીને પ્રજાના હિતની અવગણના કરી છે.

નવયુવાન નેતા ઇમ્તિયાઝ પટેલે સત્તાધીશોને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, પોતાના હકો માંગવાથી નહીં મળે તો, પ્રજા પોતાના મૂળભૂત બંધારણીય અધિકારો મેળવવા માટે છીનવી લેવા સુધીનું પગલું ભરતા ખચકાશે નહીં. તેમનું આ આહવાન સામાન્ય જનતામાં તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો સ્પષ્ટ સંદેશ આપે છે. આવનારા દિવસોમાં ઇમ્તિયાઝ પટેલે વધુ એક મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. દેરોલથી વિલાયત સુધી ચાલી રહેલા અત્યંત ધીમી ગતિના રોડના કામને ઝડપ આપવા માટે જન આક્રોશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે લોકોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈને સત્તાધારી પક્ષ અને તંત્રને જાગૃત કરવા માટે અપીલ કરી છે. જો આ રોડનું કામ ઝડપથી પૂરું કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં યુવા નેતાગીરી હેઠળ મોટો જનઆંદોલન થવાની સંભાવના છે. ભરૂચ જિલ્લાના આ યુવા નેતાનો પ્રજાલક્ષી અભિગમ સ્પષ્ટ સંકેત આપે છે કે હવે સ્થાનિક મુદ્દાઓ પર સત્તાધીશોની બેદરકારી ચલાવી લેવાશે નહીં. લોકોના હકો માટે લડવાનો તેમનો નિર્ધાર આગામી સમયમાં રાજકારણના સમીકરણો પણ બદલી શકે છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

