વોડેલા યશસ્વી કોટ્ટાપલ્લી તરીકે ઓળખાયેલા ભારતીય વ્યક્તિની અમેરિકામાં સગીરા પર બળાત્કારના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન ઈમિગ્રશેન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)ના જણાવ્યા અનુસાર યશસ્વી બિનદસ્તાવેજીકૃત ઈમિગ્રન્ટ છે અને હાલ અમેરિકન ઈમિગ્રેશન કાયદા હેઠળ દેશનિકાલની પ્રક્રિયા બાકી હોવાને કારણે કસ્ટડીમાં છે. તેની સામે ન્યુ જર્સીમાં દુકાનોમાં ચોરી અને જાહેર અવ્યવસ્થા સર્જવાના આરોપ પણ છે. જો કે એજન્સીએ આરોપોની કોઈ વિગતો જાહેર નથી કરી.

આઈસીઈએ કોટ્ટાપલ્લીને અપરાધી ગેરકાયદે એલિયન તરીકે વર્ણવ્યો અને જણાવ્યું કે તેની સામે જાતીય હુમલા અને ચોરીના આરોપો પ્રલંબિત છે. એજન્સીએ આરોપ લગાવ્યો કે જાતીય હુમલામાં 13 વર્ષની છોકરી સામેલ હતી, જો કે તેમણે કથિત ઘટના વિશે ધરપકડની તારીખ અથવા વિશિષ્ટ જાણકારી સહિત વધુ વિગતો જાહેર નથી કરી. આઈસીએ પુષ્ટી કરી કે કાનૂની અને ઈમિગ્રેશન પ્રક્રિયા દરમ્યાન તે કસ્ટડીમાં જ રહેશે.
આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનના બીજા કાર્યકાળ દરમ્યાન ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી તીવ્ર બની છે. આઈસીઈએ ફોજદારી અપરાધો ધરાવતા બિનદસ્તાવેજીકૃત ઈમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. ડિસેમ્બરમાં એજન્સીએ બે જણાનો ભોગ લેનાર ઓરેગોનમાં જીવલેણ મોટરવે અકસ્માત સાથે સંકળાયેલા ભારતીય ટ્રક ડ્રાઈવરની અટક કરી હતી. દેશનિકાલના કિસ્સામાં પણ વધારો થયો છે.
ભારત સરકારે જારી કરેલા ડાટા અનુસાર વ્યાપક ઈમિગ્રેશન વિરોધી અભિયાનના ભાગ તરીકે 2025માં અમેરિકામાંથી 3800થી વધુ ભારતીયોને દેશમાંથી કાઢવામાં આવ્યા હતા. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (ડીએચએસ)એ પણ ગંભીર ગુનાઓમાં આરોપી ઠરેલા લોકો સહિત આશરે ૨૫ હજાર અપરાધી ગેરકાયદે એલિયન્સનો ડાટા પ્રકાશિત કર્યો છે. આવા લોકોની યાદીમાં ભારતીય મૂળના 89 લોકો સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળનો આરંભ દક્ષિણ સરહદ ખાતે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને કર્યો હતો અને ગુનેગાર એલિયનોને દેશનિકાલ કરવાની ખાતરી આપી હતી.

