ઇરાન પરના હુમલાને લઈને અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચેના મતભેદો પહેલી વખત સામે આવ્યા છે. ઇઝરાયેલે ઇરાનના સાઉથ પાર્સ પર હુમલો કર્યો તેની સામે અમેરિકાએ નારાજગી જાહેર કરી છે અને બીજા આવા હુમલા ન કરવા જણાવ્યું છે.

ટ્રમ્પનું કહેવું છે કે આપણે ફક્ત ઇરાનના કટ્ટરવાદીઓને જ ઉખેડી નાખવાના છે. સાઉથ પાર્સ ઇરાનની જીવાદોરી છે. આપણે યુદ્ધ પછીની ઇરાનની સ્થિતિઓનો વિચાર કરવાનો છે. ઇરાનના ઇકોનોમીનો મોટાભાગનો મદ્દાર સાઉથ પાર્સના ઓઇલફિલ્ડ પર છે. તેથી જો તેને ખતમ કરવામાં આવે તો ઇરાનનો આર્થિક આધાર જ હચમચી જાય તેમ છે. તેની સામે ઇઝરાયેલના એક અધિકારીએ ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ઇરાન પરના બધા હુમલા અંગે અમેરિકાને જાણ કરેલી જ હોય છે. તેથી અમેરિકન પ્રમુખ પણ આ હુમલા અંગે જાણતા જ હતા. આમ સાઉથ પાર્સ અંગે ટ્રમ્પ અને નેતન્યાહુના જુદાં-જુદાં નિવેદનોના કારણે બંને વચ્ચે જાણે તડા પડયા હોય તેમ લાગે છે. અમેરિકન ઇન્ટેલિજન્સનું કહેવું છે કે ઇરાનમાં અમેરિકાના હુમલા પાછળના કારણો અને આધાર જુદા છે. અમેરિકાનો હેતુ ફક્ત ઇરાનની પરમાણુ અને મિસાઇલ ક્ષમતા જ ખતમ કરવાનો છે. જ્યારે ઇઝરાયેલ આ હેતુથી આગળ વધીને ઇરાનના કટ્ટરવાદી શાસનને પણ ખતમ કરવા માંગે છે. આની અસર આગામી દિવસોમાં અમેરિકા અને ઇઝરાયેલના ઇરાન પરના ઓપરેશન પર પડી શકે છે.

