પશ્ચિમ એશિયામાં ફરી એકવાર માનવતા શરમાઈ જાય તેવી ઘટના બની છે. ઈરાનના મીનાબમાં આવેલી શજારેહ તૈબેહ ગર્લ્સ સ્કૂલ પર ત્રણ ભયાનક ‘ટોમાહોક’ મિસાઈલો ત્રાટકતા આખું સંકુલ સ્મશાનમાં ફેરવાઈ ગયું છે. આ હુમલામાં 168 નિર્દોષ બાળકો સહિત કુલ 175થી વધુ લોકોના કરુણ મોત નીપજતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે.
કોણ છે આ કતલખાનાના જવાબદાર?
ઈરાને આ હુમલા માટે સીધો આક્ષેપ અમેરિકી નૌસેનાના જહાજ ‘USS સ્પ્રુઅન્સ’ પર લગાવ્યો છે. ઈરાનનો દાવો છે કે કમાન્ડિંગ ઓફિસર લેઈ આર. ટેટ અને એક્ઝિક્યુટિવ ઓફિસર જેફરી ઈ. યોર્કે જાણીજોઈને આ માસૂમ બાળકોને નિશાન બનાવવાનો આદેશ આપ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકામાં સ્થિત ઈરાની દૂતાવાસોએ સોશિયલ મીડિયા પર આ બંને અધિકારીઓના ફોટા વાયરલ કરી તેમને ‘રાક્ષસ’ તરીકે ઓળખાવ્યા છે.

અમેરિકાનો બચાવ: ‘ભૂલથી ગોળો વાગ્યો’
બીજી તરફ, અમેરિકી સૈન્ય આ ઘટનાને એક ‘ભયાનક ટેકનિકલ ભૂલ’ ગણાવી રહ્યું છે. તેમના રિપોર્ટ મુજબ, જે સૈન્ય મથકને નિશાન બનાવવાનું હતું તે અગાઉ આ સ્કૂલના સંકુલનો જ ભાગ હતું. જૂના ઇન્ટેલિજન્સ ડેટાના આધારે મિસાઈલ છોડવામાં આવતા તે ભૂલથી શાળા પર પડી હતી. જોકે, ઈરાને આ દલીલને સદંતર ફગાવી દઈ આને ‘સુનિયોજિત હત્યાકાંડ’ ગણાવ્યો છે.
યુએનમાં હોબાળો અને જવાબી કાર્યવાહી
યુએન માનવ અધિકાર પરિષદમાં પણ આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળ્યો છે. પીડિત પરિવારોએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી, જેને જોઈ વિશ્વના અનેક દેશો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટના બાદ ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે અને જવાબી કાર્યવાહીમાં અનેક અમેરિકી હિતો ધરાવતા ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
હાલ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ છે અને કોઈપણ ક્ષણે મોટું યુદ્ધ ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે.
રિપોર્ટ: પાક્કો ગુજરાત ન્યૂઝ
પવન માકન, ગ્રુપ એડિટર

