અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણા ચાલી રહી છે, જેનો હેતુ મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થપાયેલી રહે તે છે. તેવામાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જબરજસ્ત નિવેદન કરી દીધું છે. તેઓએ કહ્યું ઈરાનની મૂળ તાકાત તો મહાશક્તિઓને પણ ‘ના’ કહેવામાં રહેલી છે.

અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ‘અપ્રત્યક્ષ’ મંત્રણાઓ ચાલી રહી છે, ત્યારે જ અરાઘચીનું આ નિવેદન પ્રસિદ્ધ થયું છે.
તે સર્વવિદિત છે કે ઈરાન અત્યારે ખામેનીના માર્ગદર્શન પ્રમાણે ચાલતી સરકાર સામે જબ્બર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. સાથે તેની ઉપર ક્ષેત્રીય તંગદિલી પણ પ્રવર્તી રહી છે. તેવે સમયે અરાઘચીએ કહ્યું, ”તેઓ (પશ્ચિમ) અમારા પરમાણુ બોમ્બથી ડરે છે. પરંતુ અમે પરમાણું બોમ્બ બનાવવા માગતા જ નથી.” પરમાણુ બોમ્બ કરતાં એ સૌથી મોટી અમારી તાકાત તો મહાશક્તિઓને ‘ના’ કહેવામાં છે.તહેરાનમાં રાજકીય નેતાઓનાં શિખર સંમેલનમાં સંબોધન કરતાં વિદેશ મંત્રી અરાઘચીએ કહ્યું, ‘ઈરાન તેના યુરેનિયમનું સંવર્ધન કરવાનું ચાલુ જ રાખશે. મારૃં તો સ્પષ્ટ મંતવ્ય છે કે, ઈરાનનાં ઈસ્લામિક ગણરાજ્યની શક્તિનું રહસ્ય બીજાઓનાં દબાણ, પ્રભુત્વ અને ધમકીઓનો સામનો કરવાની તેની હિંમતમાં રહેલું છે.’
તે સર્વવિદિત છે કે, અમેરિકા-ઈરાન-મંત્રણામાં યુરેનિયમ-સંવર્ધન જ મુખ્ય મુદ્દો બની રહ્યું છે. ૨૦૨૫નાં ૧૨ દિવસનાં ઈઝરાયલ-ઈરાન-યુદ્ધમાં ઈરાનનાં પરમાણુ કેન્દ્રો ઉપર ભારે બોમ્બવર્ષા કરવામાં આવી હતી. ઈરાન કેટલાયે સમયથી કહે છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિમય હેતુ માટે છે. વિદ્યુત ઉત્પાદન માટે છે. પરમાણું બોમ્બ બનાવવા માટે નથી પરંતુ પશ્ચિમ તે માનવા તૈયાર નથી તે ઈરાનને ધમકી આપી રહ્યું છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનીએ પણ એક ફતવો પ્રસિદ્ધ કરતાં કહ્યું હતું કે, ‘આપણે બોમ્બ (પરમાણુ બોમ્બ) બનાવવાનો નથી’ પરંતુ તેનો મિસાઈલ કાર્યક્રમ જોતાં પશ્ચિમ કહે છે કે ઈરાનના શબ્દોનો વિશ્વાસ જલ્દી કરી શકાય તેમ નથી.

