પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે ભારત વધુ એક યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ઝરદારીએ કહ્યું કે ભારતના નેતાઓ જાહેરમાં યુદ્ધની વાતો કરી રહ્યા છે, પરંતુ પ્રાદેશિક શાંતિ માટે આ રસ્તો યોગ્ય નથી. તેમણે ભારતને યુદ્ધના માહોલમાંથી બહાર આવીને અર્થપૂર્ણ વાતચીત કરવા માટે આહવાન કર્યું છે. ઝરદારીએ ભારપૂર્વક કહ્યું કે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા માટે યુદ્ધના બદલે સંવાદ જ એકમાત્ર વિકલ્પ છે, અને પાકિસ્તાન હંમેશા શાંતિનો પક્ષધર રહ્યું છે.

અફઘાનિસ્તાન અને આતંકવાદ પર આકરું વલણ
રાષ્ટ્રપતિ ઝરદારીએ અફઘાનિસ્તાન મુદ્દે પણ ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરહદ પારથી થતા હુમલાઓ સહન કરવાની પાકિસ્તાનની મર્યાદા હવે પૂરી થઈ ગઈ છે. તેમણે અફઘાન નેતૃત્વ પર દોહા સમજૂતીના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતી પરથી TTP અને BLA જેવા આતંકી સંગઠનોને આશ્રય મળી રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે કોઈપણ વિદેશી કે સ્થાનિક તાકાતને પાકિસ્તાનની શાંતિ ભંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ખામેનેઈના મૃત્યુ પર શોક અને સુરક્ષા ચિંતા
ઝરદારીએ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીની પણ નિંદા કરી છે. તેમણે ઈરાનની સંપ્રભુતાનું સમર્થન કર્યું અને આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. બીજી તરફ, આયતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોને પગલે પાકિસ્તાન હસ્તક ગિલગિટ-બાલ્ટિસ્થાનના સ્કર્દૂમાં સેના તૈનાત કરવામાં આવી છે અને ત્રણ દિવસનો કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. હાલમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર પણ ભીષણ અથડામણો ચાલુ છે.
