ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલની સંસદે એક નવા કાયદાને મંજૂરી આપી દીધી છે, જેના હેઠળ આતંકવાદી ઘટનાઓના પેલેસ્ટિનિયન આરોપીઓને મૃત્યુદંડ આપવામાં આવશે. સજાના એલાનના 90 દિવસની અંદર દોષિતોને ફાંસી આપવામાં આવશે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત 62 સાંસદોએ આ કાયદાના સમર્થનમાં મતદાન કર્યું છે. ઈઝરાયલી વહીવટીતંત્રનું કહેવું છે કે, વેસ્ટ બેંકમાં જીવલેણ હુમલા કરનારા પેલેસ્ટિનિયનોને હવે સીધો મૃત્યુદંડ આપવામાં આવશે. આ બિલ પસાર થવું એ ઈઝરાયલના ધુર દક્ષિણપંથી પક્ષો માટે એક મોટી જીત છે, જેમણે આના માટે મજબૂત પ્રયાસો કર્યા હતા. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ગૃહમાં બિલના પક્ષમાં મતદાન કર્યું હતું.

આ કાયદા હેઠળ ઈઝરાયલના લોકોની હત્યાના દોષિત વેસ્ટ બેંકના પેલેસ્ટિનિયનો માટે મૃત્યુદંડની સજા નક્કી કરવામાં આવી છે. આ કાયદો ઈઝરાયલની અદાલતોને પોતાના નાગરિકોને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા ફટકારવાનો પણ અધિકાર આપે છે. આ કાયદો ભૂતકાળના કેસોને લાગુ પડશે નહીં, પરંતુ ફક્ત ભવિષ્યના કેસો પર જ લાગુ પડશે.
કેટલાક કેસમાં આજીવન કેદની સજા મળી શકે
આ બિલ પ્રમાણે કેટલાક ખાસ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા પણ આપવામાં આવી શકે છે. વેસ્ટ બેંકમાં હુમલાના આરોપીઓ પર મિલિટ્રી કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. ઈઝરાલને આ કાયદા અંગે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિરોધનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકાએ કર્યું કાયદાનું સમર્થન
યુરોપિયન કાઉન્સિલે આ કાયદા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે, “અલગ-અલગ લોકો માટે એક જ ગુનાની સજા અલગ ન હોઈ શકે.’ બીજી તરફ અમેરિકાએ ઈઝરાયલના આ નિર્ણયનું સમર્થન કરતા કહ્યું કે, ‘એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઈઝરાયલ પાસે આતંકવાદીઓ સામે સૌથી કડક સજા નક્કી કરવાનો અધિકાર છે.’ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમને વિશ્વાસ છે કે માનવ અધિકારોની રક્ષા માટે ઈઝરાયલ દરેક કેસની કોર્ટમાં યોગ્ય રીતે સુનાવણી કરીને જ સજા નક્કી કરશે.
‘શું કહે છે નવો કાયદો
ઈઝરાયલનો આ નવો કાયદો કહે છે કે, જો કોઈ પણ વ્યક્તિ ઈઝરાયલી નાગરિકની ઈરાદાપૂર્વક હત્યા કરવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા ફટકારવામાં આવશે. મૃત્યુદંડનો અર્થ ફાંસી. આ ક્રિમિનલ કોર્ટમાં ઈઝરાયલીઓ, પેલેસ્ટિનિયનો અથવા પૂર્વ જેરુસલેમમાં રહેતા લોકો સાથે સબંધિત કેસની સુનાવણી થશે. નવા કાયદા પ્રમાણે સજા જાહેર થયાના 90 દિવસની અંદર દોષિત વ્યક્તિને ફાંસી આપવામાં આવશે. કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં તેને વધારીને 180 દિવસ સુધી કરવામાં આવી શકે છે.

