અમેરિકાએ જણાવ્યું હતું કે તેણે નશાકારક પદાર્થ ફેન્ટાનિલનું ટ્રાફિકિંગમાં કથિત સંડોવણીના આધારે કેટલાક ભારતીય બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ અને કોર્પોરેટ્સ લીડરોના વિઝા રદ કરી દીધા છે. અમેરિકન દૂતાવાસે આ નિર્ણય જાહેર કરતાં ભારતના આ શંકાસ્પદ બિઝનેસ લીડરોના નામ આપ્યા ન હતા, જેમના વિઝાને આ આરોપના પગલે રદ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે નવી દિલ્હી તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. યુએસ ચાર્જ ડી અફેર્સ જોર્ગન એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે ગેરકાયદે ડ્રગ ઉત્પાદન અને ટ્રાફિકિંગમાં સંડોવાયેલા વ્યક્તિઓ અને સંગઠનોએ અમેરિકાના આકરાં પગલાનો સામનો કરવો પડશે.

અમેરિકાના રાજદૂતાવાસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકનોને સિન્થેટિક નાર્કોટિક્સ જેવા જોખમી ડ્રગથી બચાવવા માંગે છે. આ નિર્ણયના પગલે આ એક્ઝિક્યુટિવો અને તેમના કુટુંબના નજીકના સભ્યો અમેરિકાનો પ્રવાસ નહીં ખેડી શકે.
એમ્સીએ જણાવ્યું હતું કે ફેન્ટાનિલના ટ્રાફિકિંગ સાથે સંકળાયેલી કંપનીઓના એક્ઝિક્યુટિવો વિઝા માટે અરજી કરશે ત્યા પણ તેમનું આ બેકગ્રાઉન્ડ ધ્યાનમાં રાખવામા આવશે. તેમના વિઝાની ખાસ ચકાસણી કરવામાં આવશે. નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસ ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ સામે લડવા પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ હજી ગઇકાલે જ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન કેફી દ્રવ્યોના કેન્દ્ર હોવાનો આરોપ મૂક્યો હતો અને આજે તો ભારતીયો પર પ્રતિબંધ પણ મૂકી દીધો. ફેન્ટાનિલ હેરોઇન કરતાં પણ 50 ટકા વધુ સ્ટ્રોંગ છે. અમેરિકામાં 2024માં ફેન્ટાનિલના લીધે 48 હજારથી વધુ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામનારાઓ 18થી 45 વર્ષના હતા. તેમણે ચીન ફેન્ટાનિલ સંલગ્ન કેફી દ્રવ્યો માટે ચીન મુખ્ય સ્ત્રોત હોવાનો આરોપ મૂક્યો હતો. આના પગલે જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ચીન પર પહેલી ફેબુ્રઆરીના રોજ ફેન્ટાનિલની ઘૂસાડવાના કારણસર 10 ટકા ટેરિફ નાખ્યો હતો. જ્યારે મેક્સિકો અને કેનેડા પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો હતો.ઉલ્લેખનીય છે કે 1960માં ફેન્ટાનિલ અમેરિકામાં દુઃખાવામાંથી રાહત આપનારી દવા તરીકે ઉપયોગમાં લેવાતી હતી. હવે તે જ નશાકારક પદાર્થ બની ગઈ છે.

