ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિના હેતુથી સામાજિક વનીકરણ રેન્જ વાગરા દ્વારા તારીખ ૦૯ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ આંકોટ ગામની ITI કોલેજ ખાતે ૭૬માં વનમહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, સ્થાનિક નેતાઓ અને ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. વનમહોત્સવની શરૂઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પ્રતીકરૂપે સિંદૂરના રોપા આપીને કરાયું હતું. આ પ્રેરણાદાયી પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. આ વૃક્ષ રથ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું મહત્વ સમજાવશે.

આ મહત્વપૂર્ણ પર્યાવરણીય કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભુપેન્દ્રસિંહ વાઘેલા અને વાગરાના મામલતદાર મીના બેન જી. પટેલ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. વન વિભાગ તરફથી વી.વી.ચારણ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાગરા અને સામાજિક વનીકરણ રેન્જનો સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો. ઉક્ત કાર્યક્રમમાં ઔદ્યોગિક જગત અને સામાજિક અગ્રણીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં વિલાયત GIDC એસોસિએશનના સેક્રેટરી અને કલર ટેક્સ કંપનીના યુનિટહેડ ડૉ. મહેશ વશી, વિલાયત જ્યુબિલન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અલ્કેશભાઈ રાણા અને જ્યુબિલન્ટ કંપનીના સેફ્ટી હેડે પણ વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત આંકોટ ગામના સરપંચ અને સભ્યો, રહાડ ગામના સરપંચ કિરીટભાઈ વસાવા, ભેરસમ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સુખરામ કિશોરી જી અને આંકોટ ગામના આગેવાનો જેવા કે કિરણસિંહ રાઠોડ, શૈલેન્દ્રસિંહ ગોહિલ, રણજીતસિંહ રાઠોડ અને તલાટી કમ મંત્રી અંકિતા ગામીત પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

