પરપ્રાંતિયના મુદ્દા બાદ ઠાકોરસેના ચર્ચામાં રહી છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સરમુખત્યારશાહી સામે હવે બગાવતી સૂર ઉઠયાં છે. ખુદ ઠાકોરોએ જ વિરોધનો બુંગિયો ફુંક્યો છે. એટલુ જ નહીં, ઠાકોર સેનાને અલવિદા કહી નવું ક્ષત્રિત ઠાકોર સંગઠન રચવા તૈયારી કરી છે. આ જોતાં લોકસભાની ચૂંટણી પહેલાં જ ઠાકોરસેનામાં ભાગલાં પડે તેવી પરિસ્થિતી સર્જાઇ છે.
અલ્પેશ ઠાકોરની કાર્યપધ્ધતિ સામે ઠાકોરસેનામાં વિરોધનો સૂર ઉઠયો છે. ઠાકોરસેનાના ઉપપ્રમુખ રમેશ ઠાકોરે ગાંધીનગર સ્થિત એક રિસોર્ટમાં બેઠક બોલાવી હતી. તેમનુ કહેવુ છેકે, અલ્પેશ ઠાકોર સમાજની હિતની માત્ર વાતો કરે છે પણ કારોબારી હોય કે, અન્ય કોઇપણ મુદ્દે તે ખુદ નિર્ણય લે છે. સમાજ નહીં પણ પોતાના રાજકીય હીત સિવાય કોઇ વાત કરવામાં અલ્પેશ ઠાકોરને રસ નથી.
બે હજાર ઠાકોરો આગામી દિવસોમાં બેઠક યોજી ઠાકોરસેનાને છોડવાનો નિર્ણય લેશે
તેમણે એવો ય આક્ષેપ કર્યો છેકે, અલ્પેશ ઠાકોરને તો ભાજપમાં જવું છે પણ ભાજપના નેતાઓ જ તેને સ્વિકારવા તૈયાર નથી. બે હજાર ઠાકોરો આગામી દિવસોમાં બેઠક યોજી ઠાકોરસેનાને છોડવાનો નિર્ણય લેશે. બેઠકમાં એવી ય ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે,અલ્પેશ ઠાકોરને જો પાટણ અથવા બનાસકાંઠાની કોંગ્રેસ ટિકીટ આપશે તો,તેમને હરાવીને ઝંપીશું. ઉલ્લેખનીય છેકે,અલ્પેશ ઠાકોરે ઉત્તરાયણના દિવસે જ ઠાકોરસેનાનુ નવુ માળળુ રચ્યુ છે જેમાં માનિતાઓને જ હોદ્દા અપાયાં છે. સંગઠનમાં કામગીરી કરી ન હોય તેમને ઉપપ્રમુખ,મંત્રી બનાવી દેવાયા છે. આ જોતાં અલ્પેશ વિરુધ્ધ બળવાની આગ ફુંકાઇ છે. ઠાકોરસેના નામે કોંગ્રેસને રાજકીય બ્લેકમેઇલ કરનારાં અલ્પેશ ઠાકોર માટે હવે નવી મુસિબત સર્જાઇ છે.
નવા સંગઠનમાં અલ્પેશે કોંગ્રેસના ધારાસભ્યોને પણ સ્થાન આપ્યું
કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી સમાજના નેતા અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાનું નવું સંગઠન જાહેર કર્યું છે. નવા સંગઠનમાં 25 સભ્યોને સમાવાયા છે. જેમાં 3 ઉપપ્રમુખ, અને 5 મહામંત્રી છે. તો નવા સંગઠનમાં અલ્પેશે કોંગ્રેસના ધારાસભ્યોને પણ સ્થાન આપ્યું છે.. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પ્રદેશ ઉપ્રમુખ બનાવાયા છે તો ગાંધીનગર ઉત્તરથી ચુટંણી લડેલા ગોવિંદસિંહ ઠાકોરને પ્રદેશ મંત્રી બનાવ્યા છે. મહત્વનું છે કે ઠાકોર સેનામાં બે ભાગલા પડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સેનાનું એક જૂથ અલ્પેશથી નારાજ છે. નારાજ જૂથનુ કહેવું છે કે અલ્પેશ જાણ કર્યા વિના કોંગ્રેસમાં જોડાયો હતો.