રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ અંગે જારી ઘમસાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી હું રાજકારણથી નિવૃત્તિ લેવાનો નથી. કોંગ્રેસ માટે કામ કરતો જ રહીશ. આ વખતે પણ અમે વિધાનસભા ચૂંટણી સાથે મળીને જ લડીશું. કોઈ અલગ નથી. કોંગ્રેસ વિના બધા જ નબળા છે. તેમણે કહ્યું કે ચૂંટણીનું નેતૃત્વ તો એ જ કરે છે જે મુખ્યમંત્રી હોય છે.
મુખ્યમંત્રી ગેહલોતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે આ કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં કરાયેલી જાહેરાતોએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં આવી ગયા છે. એવામાં મુખ્યમંત્રીનું આ નિવેદન રાજસ્થાનના રાજકારણને હચમચાવી મૂકે તેવું છે. તેમણે ટોચના નેતૃત્વ અને ગાંધી પરિવારના સભ્યો સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી અંગે પણ મુક્તમને ટિપ્પણીઓ કરી હતી.
ગેહલોતે કહ્યું કે હું 20-22 વર્ષની વયે રાજકારણમાં આવી ગયો હતો. એનએસયુઆઈમાં કામ કર્યું. ૫૦ વર્ષથી રાજકારણમાં છું. આ દરમિયાન ક્યારેય પાછા ફરીને જોયું નથી. ત્રણ વખત મુખ્યમંત્રી બન્યો તો હાઈકમાને કંઇક વિચારીને જ બનાવ્યો હશે. ભલે ઈન્દિરા ગાંધી હોય, કે રાજીવ ગાંધી કે હવે સોનિયા ગાંધી બધાએ મને તક આપી. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે હવે તે ચેપ્ટર ક્લોઝ થઈ ચૂક્યો છે.