અમદાવાદ: ભાજપ ના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના 36 કલાક બાદ પોલીસે એચ 1 કોચમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. DySP કક્ષાના અધિકારીઓની હાજરીમાં કઈ સ્થિતિમાં અને સંજોગોમાં તેમને ગોળી મારવામાં આવી તે જાણવા પોલીસ પ્રયાસ કર્યો હતો.
કોણ હાજર રહ્યું, શું મળ્યું?
ટ્રેનના બે ટિકિટ ચેકર, 3 એટેન્ડર અને હત્યાનો સાક્ષી પવન મોરને સાથે રાખ્યો હતો. બેલાસ્ટિક રિપોર્ટના આધારે કેટલા અંતરેથી ગોળી મારવામાં આવી હતી તેની કડી મળી હતી.
હત્યાનું રહસ્ય ઉકેલવા સીસીટીવી મેળવવા પ્રયાસ
પોલીસની ટીમે જયંતી ભાનુશાળીની હત્યાના પહેલા ટ્રેન ક્યાં ક્યાં રોકાઇ હતી. તેમજ નજીકના રેલ્વે સ્ટેશનના ફુટેજ મેળવવા માટે પ્રયાસ કર્યા છે. હજી સુધી પોલીસને આરોપીની સચોટ માહિતી મળી નથી.
પોલીસ સ્કેચ આર્ટિસ્ટના શરણે
પોલીસ સુત્રો અનુસાર જયંતી ભાનુશાળી સાથે કોચમાં પ્રવાસ કરનાર પવન મોરેએ આરોપીને જોયો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા સ્કેચ આર્ટિસ્ટની મદદથી પવનના વર્ણનના આધારે સ્કેચ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
ચેઈન પુલિંગની કોને જાણ કરાઈ?
પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં પવન મોરે જ એક માત્ર સાક્ષી હોવાની વાતના કારણે તેની પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ટ્રેનની ચેઈન પુલિંગ થઇ ત્યારે ડ્રાઇવર અને ગાર્ડ દ્વારા કોને જાણ કરવામાં આવી અને રેલવેના કયા અધિકારી દ્વારા શું કામગીરી કરવામાં આવી તે વિગતો મેળવવા માટેના પ્રયાસો તેજ થયા છે.