મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આજે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી. ત્યારપછી કોર્ટે પોતાનો નિર્ણય જણાવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપી કોન્ટ્રાકટર પિતા-પુત્રના જામીન નામંજૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ આરોપી પૈકી સાત આરોપીની જામીન અરજી અગાઉ કોર્ટે નામંજૂર કરી હતી.
મોરબી ઝૂલતો પુલનું મેન્ટેનન્સ કરનાર કોન્ટ્રાકટર દેવાંગ પરમાર અને પ્રકાશ પરમારે મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી મામલે ગઈકાલે સેશન્સ જજની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બચાવ પક્ષના વકીલે કોન્ટ્રાકટર પિતા પુત્રની તરફેણમાં દલીલો કરી હતી, અને તેઓએ માત્ર બ્રીજનું ફલોરિંગ કામ કરેલું છે. અને બ્રીજ કાટ ખાઈ ગયેલા કેબલ અને ઓવરલોડીંગને કારણે તુટ્યો હોવાની દલીલો રજુ કરી હતી, અને આરોપીઓ છેલ્લા ત્રણ માસથી જેલમાં હોય જેથી જામીન પર છોડવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી. તો સરકારી વકીલે પણ જામીન અરજીનો વિરોધ કરતા વિવિધ દલીલો રજુ કરી હતી અને જામીન અરજી નામંજૂર કરવાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી જામીન અરજીનો નિર્ણય આજે આપ્યો હતો.
આ અગાઉ જયસુખ પટેલને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ આજે પુરા થતા ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જયસુખ પટેલ 7 દિવસના રિમાન્ડ અર્થે પોલીસ કસ્ટડીમાં હતો. આજે પોલીસ વધુ રિમાન્ડની માંગ કરી શકે છે. મોરબી પુલ દુર્ઘટના મામલે આજે જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ પુરા થવાના હોવાથી ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.