બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે શુક્રવારે સંઘ પરિવારની હિંદુ રાષ્ટ્રની વિચાર ધારા અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિચારધારા મહાત્મા ગાંધીના વિચારોની વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે નામાંકિત સમાજવાદી નેતા નીતીશકુમારે ગયા વર્ષે ભાજપની સાથે પોતાનું લાંબુ ગઠબંધન તોડી નાખ્યું હતું. જ્યારે નીતીશકુમારને હિંદુ રાષ્ટ્ર અંગે પૂછવામાં આવ્યું કે તો તેમણે જણાવ્યું હતું કે સ્વયં મહાત્મા ગાંધી પણ હિંદુ રાષ્ટ્રના વિરોધી હતાં. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સપ્તાહની શરૃઆતમાં હિંદુ રાષ્ટ્રના ખ્યાલને ખુલ્લુ સમર્થન આપ્યું હતું.
નીતીશકુમારે જણાવ્યું હતું કે આપણે મહાત્મા ગાંધીની વિરુદ્ધની કોઇ પણ વાતને સાંભળવી ન જોઇએ. આ દેશમાં તમામ ધર્મોના લોકો એક સાથે રહે છે. તેઓ એકતાના હિમાયતી હતાં અને તેના કારણે જ તેમની હત્યા કરવામાં આવી હતી. નીતીશકુમારે ૧૯૯૦ના દાયકામાં ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતું અને અટલ બિહારી વાજપેયી સરકારમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે નીતીશકુમાર બિહારના સૌથી લાંબા સમય સુધી મુખ્યપ્રધાન રહ્યાં છે.