અમદાવાદઃ શહેરના ગણેશ જીનેસિસ આગની ઘટનામાં આગ ક્યાંથી અને કયા કારણે લાગી તે અંગે વિવાદ શરૂ થયો છે. ત્યારે આગમાં મૃત્યુ પામેલા મહિલા અંજનાબહેન પટેલના ભાઈએ શહેર પોલીસ કમિશનરને પત્ર લખીને સાવચેત કર્યા હતા કે, આ આગની ઘટના જે ફ્લેટમાં બની છે તેના માલિક રાજુભાઈ મિશ્રા રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી પૈસાના જોરે મામલો રફેદફે કરવા માગે છે. તેમજ ઘટના સમયે રાજુભાઈના ફ્લેટમાં કેમિકલના કેરબા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
જેના ફ્લેટમાં આગ લાગી તે પુરાવાના નાશ કરવાના પ્રયાસો કરે છે
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અંજનાબહેન પટેલના ભાઈ મિતેશ પટેલે આગની ઘટનાને લઈ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘને પત્ર લખ્યો છે. આ પત્ર મુજબ, ગોતાના ગણેશ જીનેસિસ એપાર્ટમેન્ટના પાંચમા માળે જેમના ઘરે આગ લાગી હતી તે રાજુભાઈ મિશ્રા દ્વારા કેસને નબળો સાબિત કરવા પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો છે.
7 એસી હતા અને એસીના ઓવરલોડને કારણે બ્લાસ્ટ થયો
ગોતા જગતપુર ખાતે આવેલ ગણેશ જીનેસિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ઈ-604 મારા બહેન અંજના મહેશભાઈ પટેલ રહે છે. જેમનું આગને કારણે મોત નિપજ્યું છે. જીનેસિસ ફ્લેટના ઈ બ્લોકના પાંચમાં માળે 503-504ના માલિક રાજુભાઈ મિશ્રાના ઘરે સાત એસી લગાવવામાં આવ્યા હતા. આ એસીમાં ઓવરલોડને કારણે બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. જે આગ છઠ્ઠા માળે પહોંચતા મારા બહેનનું દાઝી જવાથી અવસાન થયું હતું. જ્યારે મારો ભાણીયો ધ્રુવ 75 ટકા દાઝી ગયો છે અને હાલ સારવાર હેઠળ છે.
રૂપિયાના જોરે કેસ રફેદફે કરવા પ્રયાસ
આ રાજુભાઈ મિશ્રાએ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાડી હોવાથી તેમને બે ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે બન્ને ફ્લેટ જોડી દીધા હતા. આ રાજુભાઈ રાજકીય પીઠબળ ધરાવતા અને પૈસા પાત્ર વ્યક્તિ છે. જેથી રૂપિયાના જોરે કેસને રફેદફે કરાવવા પ્રયાસ કરે છે.
ઘટના બાદ ઘરેથી સામાન ઉપાડ્યો ત્યારે કેમિકલના કેરબા બોક્સમાં લઈ જવાયા
ઘટના બની ત્યારે તેમના મકાનમાં કેમિકલના કેરબા હતા. જેનો તેમના ધંધામાં વપરાશ કરવામાં આવે છે. આ જ્વલનશીલ કેમિકલના કારણે આગ વધુ તીવ્ર બની હતી. બીજી તરફ તેમના ઘરમાં બ્લાસ્ટ થયો હોવાથી દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, છતાં તેમના પત્ની તેમના ઘરે એસીમાં બ્લાસ્ટ ન થયા હોવાનું કહી રહ્યા છે. બહેને આપેલા નિવેદન મુજબ, છઠ્ઠા માળે લાગેલી આગ પાંચમે માળે આવી હતી, આ વાત તદ્દન પાયાવિહોણી છે. જેથી પુરાવાનો નાશ ન કરે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના બન્ને મકાનો પોલીસ કબજામાં લેવા જોઈએ. ગઈકાલે તેમના ઘરેથી સામાન ઉપાડ્યો હતો, તેમાં બોક્સમાં કેમિકલના કેરબા લઈ જવાયા હતા. આ બાબત એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરવાથી સ્પષ્ટ થશે.