ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જો કે સદનસીબે, આ ઘટના શાળાનો સમય પૂરો થયા બાદ બની હોવાથી મોટી જાનહાનિ ટળવા પામી હતી. જેને પગલે 400 જેટલા વિદ્યાર્થીઓ સુરક્ષિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આગની ઘટના બપોરે શાળા છૂટ્યા બાદ બની હતી. આગ લાગતા જ શાળાના સ્ટાફે તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે, શાળા સુધી પહોંચતા સાંકડા રસ્તાઓને કારણે ફાયર બ્રિગેડની ગાડી સમયસર પહોંચી શકી નહોતી. ત્યારે આવી પરિસ્થિતિમાં, શાળામાં રહેલી ફાયર સિસ્ટમ અને ફાયર એક્સટિંગ્યુશર જેવા સાધનો ખૂબ જ ઉપયોગી સાબિત થયા હતા. શાળાના સ્ટાફ અને આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરીને આ સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં શાળાનું થોડું ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું. આગને કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો, જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. આ ઘટના એ દર્શાવે છે કે શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા કેટલા જરૂરી છે.

