ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ટ્રસ્ટે યાત્રાળુઓ માટે રૂપિયા 10 કરોડનો વીમો લીધો છે. જે ગત વર્ષના વીમા કવરેજ કરતાં ત્રણ ગણો વધુ છે. આ વીમા અંતર્ગત કોઈ પણ શ્રદ્ધાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળી રહેશે.
આ વીમાની સૌથી મોટી વિશેષતા એ છે કે શક્તિપીઠ અંબાજીના 50 કિલોમીટરના વિસ્તારમાં થતા અકસ્માતોને આવરી લેવામાં આવ્યા છે. આ કવરેજમાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેથી દૂર-દૂરથી આવતા ભક્તોને પણ સુરક્ષા પૂરી પાડી શકાય.
ગત વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટે માત્ર 20 કિલોમીટર સુધીનું કવરેજ લીધું હતું, પરંતુ આ વર્ષે ભક્તોની વધતી સંખ્યા અને સલામતીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વીમાની રકમ અને કવરેજ વિસ્તારમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ રૂપિયા 10 કરોડનો વીમો શ્રદ્ધાળુઓને આર્થિક સુરક્ષા કવચ પુરૂ પાડશે.
વીમાનો લાભ લેવા માટે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ કોર્ટમાં ક્લેમ કરવાનો રહેશે. કોર્ટ દ્વારા અકસ્માતની ગંભીરતા અને થયેલા નુકસાનના આધારે નક્કી કરવામાં આવેલી રકમ ક્લેમ કરનાર વ્યક્તિને ચૂકવવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મોટી રાહત છે.


