ભરૂચની દૂધધારા ડેરીની આગામી ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. ભરૂચના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખીને ગંભીર આરોપો લગાવ્યા છે. આ પત્રમાં તેમણે ભ્રષ્ટાચાર, જૂના કાર્યકર્તાઓની અવગણના અને દાદાગીરી કરતા તત્વોને પ્રોત્સાહન આપવા જેવી બાબતો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
પત્રના મુખ્ય મુદ્દાઓ
(૧) પૂર્વ પ્રમુખ જેવી જ અવગણના:-
સાંસદ વસાવાએ પત્રમાં જણાવ્યું કે વર્તમાન પ્રમુખ પ્રકાશ મોદી પણ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ જૂના અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યા છે.
(૨)પ્રકાશ દેસાઈ પર આરોપ:-
સાંસદે દૂધધારા ડેરીના ઉમેદવાર પ્રકાશ દેસાઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ ડેરીમાં એક લિટર પણ દૂધ આપતા નથી. તેમ છતાં, રાજકીય દબાણ હેઠળ તેમની ઉમેદવારી નોંધાઈ છે.
(૩)ભ્રષ્ટાચારને પ્રોત્સાહન:-
પત્રમાં નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીના કૌભાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાંસદનો આરોપ છે કે જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર જેવા અધિકારીઓ ભ્રષ્ટ તત્વોને બચાવી રહ્યા છે.
(૪) ઝઘડિયા APMC માળખા પર નારાજગી:-
સાંસદે ઝઘડિયા APMCના માળખા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રકાશ દેસાઈની ટીમે જિલ્લા કે પ્રદેશ સ્તરે કોઈને વિશ્વાસમાં લીધા વિના જ આ માળખું ઊભું કરી દીધું છે.
પત્રના અંતમાં, મનસુખ વસાવાએ સૂચન કર્યું છે કે જિલ્લા પ્રમુખે જૂના અને મહેનતુ કાર્યકર્તાઓને અવગણવા ન જોઈએ અને કોઈ પણ મહત્ત્વના નિર્ણય પહેલાં જિલ્લા સ્તરના સંકલનમાં ચર્ચા કરવી જોઈએ. સાંસદના આ પત્રથી દૂધધારા ડેરીની ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.


