અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષણની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. વરસાદી માહોલનો લાભ ઉઠાવીને કેટલાક બેજવાબદાર ઉદ્યોગોએ ઇન્સિનેટરમાંથી તીવ્ર ગેસ છોડ્યો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
ગત રાત્રે, નેશનલ હાઇવે નંબર ૪૮ને અડીને આવેલા ખરોડ અને બાકરોલ ગામમાં લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પણ મોઢા પર રૂમાલ બાંધવાની ફરજ પડી હતી.

સ્થાનિક રહેવાસી યુનુસભાઈ અને વાહનચાલક સુનિલભાઈએ જણાવ્યું કે રાત્રિ દરમિયાન અચાનક હવા પ્રદૂષણ વધી ગયું હતું, જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર થઈ હતી. આ ઘટનાથી પ્રદૂષણ નિયંત્રણમાં બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

