દિલ્હીના માલવીય નગરમાં શુક્રવારે મોર્નિંગ વૉક પર નીકળેલા એક વેપારીની બાઈક સવાર બદમાશોએ જાહેરમાં ગોળી મારી હત્યા કરી નાખી હતી. મૃતક લખપત સિંહ કટારિયા કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધી આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હત્યારાઓની ઓળખ કરી લેવામાં આવી છે.

હત્યા કરી બદમાશો ફરાર
આ મામલે માહિતી આપતા ડીસીપી અંકિત ચૌહાણે કહ્યું કે માલવીય નગરના બેગમપુરમાં રહેતા 55 વર્ષીય લખપત સિંહ કટારિયા પાર્કમાં મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. બદમાશોએ પહેલા તેમને બેટ વડે ફટકાર્યા અને પછી 4 ગોળીઓ વીંધી ફરાર થઈ ગયા. ત્યાં મોર્નિંગ વૉક કરતા બીજા લોકોએ પોલીસને આ જાણકારી આપી હતી.
હત્યાનું કારણ શું?
ઘટનાસ્થળે પહોંચીને પોલીસે કટારિયાને નજીકના હોસ્પિટલમાં પહોંચાડવા પ્રયાસ કર્યો હતો પણ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. એવું મનાય છે કે સંપત્તિના વિવાદમાં આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે. કોંગ્રેસ નેતાના પરિવારમાં તેમની પત્ની વીરમતી અને બે બાળકો સામેલ છે.

