એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે સૂર્યકુમાર યાદવને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતી વખતે થોડા બોલ રમત પહેલા પિચની સ્થિતિને સમજવાની સલાહ આપી હતી. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 35 વર્ષીય સૂર્યકુમારે પાંચ ઈનિંગ્સમાં ફક્ત 71 રન બનાવ્યા છે, સરેરાશ 23.66 અને સ્ટ્રાઇકિંગ 107.57 રહ્યો છે. તેના સ્કોરમાં 7 અણનમ, 47 અણનમ, 0, 5 અને 12નો સમાવેશ થાય છે.

પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરની સલાહ
એશિયા કપમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન તેના IPL 2025ના પ્રદર્શનથી તદ્દન વિપરીત હતું, જ્યાં તેણે 65.18 ની સરેરાશ અને 167.91ના સ્ટ્રાઇક રેટથી 717 રન બનાવ્યા હતા. શુક્રવારે શ્રીલંકા સામે સૂર્યકુમારે 13 બોલમાં 12 રન બનાવ્યા અને પછી વાનિંદુ હસરંગા દ્વારા આઉટ થયા. આ દરમિયાન સૂર્યકુમાર અગે પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘તે એક ઉત્તમ ખેલાડી છે. મારી એકમાત્ર સલાહ એ રહેશે કે બહાર જઈને ત્રણ કે ચાર બોલ રમો અને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરો. બોલની ગતિ, ઉછાળ અથવા ટર્ન જુઓ. ડગઆઉટમાંથી જોવાથી અને મેદાન પર રમવાથી પરિસ્થિતિઓ અલગ લાગી શકે છે.’
પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘કેટલીકવાર જો કોઈ બેટર પહેલાથી જ સેટ હોય, તો એવું લાગે છે કે પીચમાં કંઈ જ નથી. પરંતુ થોડા બોલ રમવું, પરિસ્થિતિઓને સમજવી અને પછી તમારી નેચરલ રમત રમવી હંમેશા વધુ સારું છે. ફાઇનલ પહેલાનો મુશ્કેલ દિવસ ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શ્રીલંકા સામે સુપર ઓવરમાં મળેલી જીતે ટીમની ધીરજ અને સંયમ રાખવાની ક્ષમતા દર્શાવી.’
શ્રીલંકા સુપર ઓવરમાં હાર્યું
શુક્રવારે ભારતીય ખેલાડીઓએ મેદાન પર સખત મહેનત કરવી પડી હતી કારણ કે શ્રીલંકાએ 20 ઓવરમાં 202 રન બનાવીને મેચ ટાઇ કરી હતી. આ મેચમાં શ્રીલંકા વતી પથુમ નિશાંકાએ શાનદાર 107 રન ફટકાર્યા હતા. ત્યારબાદ મેચ સુપર ઓવરમાં ગઈ, જ્યાં શ્રીલંકા પાંચ બોલમાં ફક્ત બે રન બનાવીને હારી ગયું હતું.

