રોહિત શર્માને ભારતીય ODI ટીમના કૅપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમ 19 ઑક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝ રમવાની છે. તેના માટે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને ODI કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમજ શ્રેયસ ઐયર ઉપ-કૅપ્ટન છે. રોહિત માત્ર બેટર તરીકે ટીમનો ભાગ રહેશે, અને વિરાટ કોહલી પણ આ ટીમમાં છે.

શું 2027 વર્લ્ડ કપમાં રમશે રોહિત અને વિરાટ?
રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમના કરિયરમાં અંતિમ તબક્કામાં છે. વિરાટ નવેમ્બરમાં 37 વર્ષનો થશે, જ્યારે રોહિત 38 વર્ષનો છે. હજુ વર્લ્ડ કપમાં બે વર્ષનો સમય બચ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં અજિત અગરકરે 2027 વર્લ્ડ કપમાં રોહિત અને વિરાટની ભાગીદારી અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેમાંથી કોઈએ 2027 વર્લ્ડ કપ માટે કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી.
‘વિરાટ અને રોહિતને ટીમમાં સામેલ કરવા જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરાઈ
વિરાટ કોહલી અને રોહિતની ટીમમાં પસંદગી અંગે અગરકરે કહ્યું કે, ‘વિરાટ કોહલી અને રોહિત શર્માને ટીમમાં સામેલ કરવા માટે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમે હંમેશા પસંદ કરેલા નામો COEને મોકલીએ છીએ અને તેમની ફિટનેસની પુષ્ટિ કરીએ છીએ.’

