ભરૂચ જિલ્લાના ચાવજ ગામે ગતરોજ, માલધારી સમાજ દ્વારા દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વિધિ ધામધૂમથી સંપન્ન કરવામાં આવી હતી.

રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ રેવાભાઈ બોળીયાના ઘરેથી ભગવાનની જાન બેન્ડવાજા સાથે નીકળીને સાંજે ૮ વાગ્યે ચાવજ મુકામે ભોજા ધુધાભાઈ મેર ભરવાડના નિવાસસ્થાને પહોંચી હતી. રાત્રે ૧૦ વાગ્યે તુલસીજી અને ઠાકોરજીના વિવાહની મુખ્ય ધાર્મિક વિધિ યોજાઈ હતી.
સામાજિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકોએ તેમના પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો. આ કાર્યક્રમ પૂર્વે રામનગર હલદરવા ખાતે મહાપ્રસાદ અને આરતીનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત સમાજના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા.

