આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના બદલે નળમાં આવતા કચરાવાળા અને દુર્ગંધયુક્ત પાણીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના પાછલા ફળિયાના રહીશો અને ખાસ કરીને મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં હતું. ગંદા પાણીને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સર્જાતા આખરે ગ્રામજનોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો, જેના પગલે પંચાયત દોડતી થઈ ગઈ છે.

આશ્ચર્યની વાત એ છે કે, ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈએ કોઈ પણ લેખિત રજૂઆત મળી હોવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ ગ્રામજનોના વિરોધ પ્રદર્શનના ગણતરીના કલાકોમાં જ પંચાયતે વિવાદિત વિસ્તારમાં પાણીની કુંડી તોડી નવી પાઈપલાઈન અને વાલ્વ નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી. હાલ પંચાયત દ્વારા નવી વ્યવસ્થા ઊભી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થાનિકોમાં હજુ પણ શંકા છે. ગ્રામજનોનું કહેવું છે કે પાણી પુરવઠો પૂર્વવત થયા બાદ જ ખબર પડશે કે આ કાયમી ઉકેલ છે કે માત્ર વિરોધને શાંત પાડવાનો દેખાવ. જનતા હવે માંગ કરી રહી છે કે તંત્ર આક્ષેપબાજી છોડી પાણીના સ્ત્રોતની ઊંડી તપાસ કરે જેથી ભવિષ્યમાં પ્રદૂષિત પાણીની સમસ્યા ફરી ન સર્જાય.
