અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક અત્યંત કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મણિનગર વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ માતા પ્રવિણાબેન પંડ્યા અને તેમના 42 વર્ષીય પુત્ર જગદીશ પંડ્યાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પુત્ર જગદીશ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. બીમાર પુત્રની સ્થિતિ અને પારિવારિક સંજોગોથી કંટાળી ગયેલી માતાએ અંતે પુત્ર સાથે મોતને વહાલું કરવાનો આઘાતજનક નિર્ણય લીધો હતો. આ ઘટનાને પગલે રિવરફ્રન્ટ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. નદીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, માતા-પુત્ર બંને મણિનગરના રહેવાસી હતા અને પુત્રની સારવાર અને તેની કથળતી જતી માનસિક હાલત આ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ઘરના બે સભ્યોના મોતથી પંડ્યા પરિવાર અને મણિનગર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
