સાયલના ચોરવીરા, ચિત્રાલાખ અને ઈશ્વરીયા ગામમાં ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું છે. સાયલા મામલતદારના સર્વે બાદ કાર્યવાહી હાથ ધરાયેલી કૂવા બુરાણ પ્રક્રિયા ૨૦ દિવસ સુધી ચાલશે.

સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન અટકાવવા માટે પ્રશાસન દ્વારા છેલ્લા એક મહિનામાં વિવિધ વિભાગો દ્વારા ચોરવીરા, ચિત્રાલાખ અને ઈશ્વરીયા ગામોમાં મોટા પ્રમાણમાં દરોડા પાડીને ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી. આ વિસ્તારોમાં ફરીથી ખોદકામ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કૂવાઓ બુરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લીંબડી ડેપ્યુટી કલેક્ટરની સૂચનાથી સાયલા મામલતદારની ટીમે જેસીબી મશીનો વડે કાર્બોસેલના કૂવાઓ પૂરવાની કામગીરી શરૂ કરી દીધી છે. મામલતદારની ટીમ દ્વારા હાલ સરકારી સર્વે નંબરોમાં આવેલા કૂવાઓની વિગતવાર તપાસ અને સર્વે કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી અંદાજે ૨૦ દિવસ સુધી ચાલશે. કયા સર્વે નંબરમાં કેટલા કૂવા છે તેની ચોક્કસ યાદી તૈયાર કરી બુરાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

