પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આવેલી શિયા મસ્જિદમાં જે આત્મઘાતી હુમલો થયો હતો તેની જવાબદારી આઇએસઆઇએસ દ્વારા લેવામાં આવી છે. જેને પાકિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અગાઉ પાકિસ્તાન સરકારના મંત્રીઓએ આ હુમલા પાછળ વિદેશી હાથ હોવાનો દાવો કર્યો હતો જોકે હવે તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલો ખૂદ પાકિસ્તાનના જ આતંકવાદી દ્વારા કરવામાં આવ્યો છે. માત્ર શિયા મુસ્લિમોને નિશાન બનાવીને કરવામાં આવેલા આ આતંકી હુમલાની જવાબદારી સુન્ની મુસ્લિમ આતંકી સંગઠન દ્વારા લેવામાં આવી છે. જેને ઇસ્લામિક સ્ટેટ અથવા આઇએસ તરીકે ઓળખવામાં આવે છે. આ જ સંગઠને ૨૦૨૨માં પણ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ શહેર પેશાવરમાં પણ એક શિયા મસ્જિદને નિશાન બનાવીને મોટો આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં ૫૬ શિયા મુસ્લિમો માર્યા ગયા હતા. જે બાદથી શિયાઓ પર આઇએસનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. બીજી તરફ ઇસ્લામાબાદમાં થયેલા આ હુમલામાં માર્યા ગયેલા શિયા મુસ્લિમોના એક સાથે અનેક જનાજા નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શિયા મુસ્લિમો જોડાયા હતા.

