જામનગર શહેરમાં રવિવારે એક ગ્રુપ દ્વારા ‘હું નથુરામ’ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેની જાહેરાત કરાઈ હતી. અને અગાઉથી ટાઉનહોલ ભાડે રખાયો હતો. જોકે જામનગર શહેરમાં કાર્યરત આર.આર ગ્રુપના મર્યાદિત સભ્યો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેના ભાગરૂપે રવિવારે ‘હું નથુરામ’ નાટકનો શૉ યોજાયો હતો.

પરંતુ તે પહેલા જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તેના શૉ બાબતે વાંધો લેવામાં આવ્યો હતો. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા વહીવટી તંત્રને આ બાબતે લેખિત વાંધા અરજી કરવામાં આવી હતી, અને મહાત્મા ગાંધીના હત્યારાનું મહિમા મંડન જામનગરમાં થવા નહીં દઈએ, તેમ કહીને વિરોધ પ્રગટ કર્યો હતો.ઉપરાંત શૉ શરૂ થાય તે પહેલાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, તથા અન્ય કોંગી કાર્યકરો ટાઉનહોલના દ્વારે પહોંચી ગયા હતા, અને બેનર-પોસ્ટર વગેરે ફાડી નાખ્યા હતા. જોકે ટાઉનહોલના દ્વાર ખુલ્યા ન હતા, અને આયોજન રદ કરી નાખવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી કોંગી કાર્યકરોએ ટાઉનહોલના મુખ્ય ગેઇટની બહાર ફટાકડા ફોડીને પોતાની જીત નિશ્ચિત કરી હતી.

