T20 વર્લ્ડ કપ 2026ની 18મી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો સામનો નામિબિયા સામે થશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં છેલ્લે વર્ષ 2022માં ઈંગ્લેન્ડ સામે હારી હતી, ત્યારબાદ ટીમે સતત 9 મેચ જીતી છે. ચાલુ વર્લ્ડ કપમાં ભારતે તેની પ્રથમ મેચ USA સામે જીતી હતી, જ્યારે નામિબિયા તેની પ્રથમ મેચ હારી ગયું છે. આ મેચના પ્રીવ્યુ અને મહત્વની બાબતો પર નજર કરીએ.

માત્ર 1 મેચમાં સામસામે આવી છે બંને ટીમો
ભારત અને નામિબિયા વચ્ચે અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ વર્ષ 2021માં રમાઈ હતી. તે મેચમાં ભારતનો 9 વિકેટે વિજય થયો હતો. નામિબિયાએ 132/8 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
નામિબિયા સામેની મેચ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓપનર અભિષેક શર્મા પેટના ઈન્ફેક્શનને કારણે આ મેચમાંથી બહાર રહી શકે છે. તેની જગ્યાએ સંજુ સેમસનને તક મળી શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નક્કી માનવામાં આવે છે.
સંભવિત ઈલેવન: સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.નામિબિયાને તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં ટીમની બેટિંગ અને બોલિંગ બંને ખરાબ રહી હતી. ભારત સામે જીતવા માટે તેમણે બંને વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. સંભવિત ઈલેવન: લોરેન સ્ટીનકેમ્પ, જાન ફ્રાયલિંક, જાન નિકોલ લોફ્ટી-ઈટન, ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જેજે સ્મિટ, ઝેન ગ્રીન (વિકેટકીપર), ડિલન લીશર, રુબેન ટ્રમ્પેલમેન, વિલેમ માયબર્ગ, બર્નાર્ડ શોલ્ટ્ઝ અને મેક્સ હાઇંગો.
અરુણ જેટલી સ્ટેડિયમની પિચ રિપોર્ટ
આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે, જેની પિચ બેટ્સમેનોને ખૂબ જ માફક આવે છે. ઝડપી આઉટફિલ્ડ અને નાની બાઉન્ડ્રી બેટ્સમેનોને આક્રમક રમત રમવા માટે પુરતી તક આપે છે. અહીં ફાસ્ટ બોલરોને મદદરૂપ થતી નથી. જ્યારે સ્પિનરોને પિચ મદદરૂપ થાય છે. આ સ્ટેડિયમની પિચ કાળી માટીની બનેલી છે, જે સખત અને સપાટ છે.
દિલ્હીનું હવામાન કેવું રહેશે?
AccuWeather મુજબ, 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં હવામાન એકદમ ચોખ્ખું રહેશે. મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેવાનું અનુમાન છે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી, તેથી પ્રેક્ષકો પૂરી મેચનો આનંદ માણી શકશે.
આ ખેલાડીઓના પ્રદર્શન પર રહેશે નજર
– સૂર્યકુમાર યાદવ: છેલ્લી 10 મેચમાં 360 રન બનાવ્યા છે.
– હાર્દિક પંડ્યા: છેલ્લી મેચમાં નિષ્ફળ રહ્યો પણ તે મોટી ઇનિંગ રમશે તેવી શક્યતા
– જાન ફ્રાયલિંક અને ઇરાસ્મસ: બંનેએ છેલ્લી 10 મેચમાં 268-268 રન બનાવ્યા છે.
– વરુણ ચક્રવર્તી: 8 મેચમાં 15 વિકેટ ઝડપી છે.
– અર્શદીપ સિંહ: 9 મેચમાં 15 વિકેટ પોતાના નામે કરી ચૂક્યા છે.
