વાગરા તાલુકાની વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલી જાણીતી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા એક યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે મળતી વિગતો અનુસાર જંબુસર તાલુકાના ડોલીયા ગામના રહેવાસી પિયુષકુમાર ગંભીરભાઈ મકવાણા ઉંમર વર્ષ ૪૩ જેઓ ગત તારીખ ૧૨/૦૨/૨૦૨૬ના રોજ બપોરના સમયે વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં પાર્કિંગમાં પોતાની ગાડીની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ કંપનીના ફાયરમેન અને સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક તેમને સ્ટ્રેચર દ્વારા કંપનીના પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ મામલે રઘુસિંહ ભગવાનસિંહ મકવાણાએ વાગરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. વાગરા પોલીસ આ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ કરી રહી છે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

