થરાદના ચાગડા ગામે મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક બંધારણને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. રાજેશ્વર ધામ, ચાગડા ખાતે યોજાયેલી આ બેઠકમાં મહંતશ્રી દયારામજી મહારાજ, ગાદીપતિ શ્રી રાજેશ્વરધામ શિકારપુરાની હાજરીમાં સમાજના આગેવાનોએ “એક સમાજ, એક જાજમ, એક રિવાજ” ના સિદ્ધાંત મુજબ બંધારણ ઘડ્યું.આ બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, ગવાળા પ્રસંગ, વ્યસન, ઓઢામણી, સગપણ અને અન્ય મુદ્દાઓ બાબતે સુધારણા કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકરૂપતા લાવવાનો અને પરંપરાઓ, સંસ્કારો તથા વ્યવહારને એક સૂત્રમાં બાંધવાનો છે.

“એક સમાજ, એક જાજમ, એક રિવાજ” ને સાર્થક કરવા માટે જુદા-જુદા સામાજિક પ્રસંગોને આવરી લેતા સુધારાત્મક મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા હતા. આ મુદ્દાઓ પર પરગણા મુજબ સામાજિક સંકલન બેઠકોમાં સામાજિક અગ્રણીઓ, પંચો અને યુવાનોએ સાથે મળીને ચર્ચા-વિચારણા કરી હતી. શ્રી અખિલ આંજણા ચૌધરી પટેલ યુવામંડળ બનાસકાંઠા અને પાંચ પટ્ટી – થરાદરી,, ડીસાવળી,વાવેસી, હિન્દવાણી,સાંચોરી,સમાજે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુરુગાદી રાજેશ્વર ભગવાન મંદિર, શિકારપુરાથી રાજઋષિ યોગીરાજ બાલબ્રહ્મચારી મહંત શ્રી દયારામજી મહારાજના વરદ હસ્તે ‘એક સમાજ, એક જાજમ અને એક રિવાજ’ ઉપર પાંચ પટ્ટીની અંદર તમામ પ્રકારની સામાજિક સુવ્યવસ્થાઓની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું. પાંચ પટ્ટી સમાજે એકઠા થઈને હૃદયપૂર્વક આ તમામ પ્રકારની વ્યવસ્થાઓનો સ્વીકાર કર્યો છે. આગામી સમયમાં આ પાંચ પટ્ટી એક નવા પરિવર્તન યુગ તરફ પ્રયાણ કરી રહી છે, જેનો ઇતિહાસ સાક્ષી બનશે. થાના ભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજારામ આશ્રમ, ચાગડા ખાતે યોજાયેલી આ બેઠકમાં સમાજના પાંચેય પંથકો – સાંચોરી, ડીયાવાળી, થરાદરી, વાવેચી અને હીંદવાણીના વડીલો, પંચો, આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. આ બંધારણનો મુખ્ય હેતુ સમાજને વ્યસનમુક્ત બનાવવાનો, કુરિવાજો દૂર કરવાનો, દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો અને લગ્ન કે અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવવાનો છે.
REPORTER : પ્રધાનજી ઠાકોર

