ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની વાત આવે ત્યારે માત્ર રમત નહીં, પણ કરોડો ચાહકોની લાગણીઓ મેદાન પર હોય છે. આજે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારા આ મહામુકાબલા પર આખી દુનિયાની નજર છે. જોકે, સ્ટેડિયમમાં ખેલાડીઓ ઉતરે તે પહેલા આકાશમાં છવાયેલા વાદળોએ સસ્પેન્સ વધારી દીધું છે.

શ્રીલંકાના હવામાન વિભાગે જાહેર કર્યું અપડેટ
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવારે (15 ફેબ્રુઆરી) રમાનારી ભારત-પાકિસ્તાન મેચ માટે હવામાનને લઈને નવી વિગતો સામે આવી છે. અત્યારે કોલંબોમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ રાહતની વાત એ છે કે વરસાદ પડી રહ્યો નથી. શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન કોલંબોમાં વરસાદની શક્યતા ઓછી છે. જોકે, દક્ષિણ અને પૂર્વી પ્રાંતોમાં ભારે વરસાદની આગાહી છે, પણ કોલંબો પશ્ચિમ પ્રાંતમાં હોવાથી ત્યાં વાતાવરણ શુષ્ક રહેવાની ધારણા છે.
તાપમાન: મહત્તમ 34 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ.
ભેજ (Humidity): 50% થી 85% સુધી રહેવાની શક્યતા છે, જે ખેલાડીઓ માટે પડકારજનક રહેશે. ભેજને કારણે બોલિંગ અને ફિલ્ડિંગમાં મુશ્કેલી પડી શકે છે.
સમય: મેચ ભારતીય સમય મુજબ રાત્રે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 6:30 વાગ્યે થશે.
જો મેચ ધોવાઈ જાય તો શું?
ગૃપ સ્ટેજની આ મેચ માટે કોઈ ‘રિઝર્વ ડે’ રાખવામાં આવ્યો નથી. મેચનું પરિણામ લાવવા માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી અનિવાર્ય છે. જો મેચ રદ થાય, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ વહેંચી દેવામાં આવશે. આ સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન બંનેના 5-5 પોઈન્ટ થઈ જશે અને રવિવારે જ બંને ટીમો સત્તાવાર રીતે સુપર-8 માં પહોંચી જશે.ટીમની વર્તમાન સ્થિતિ
ભારત હાલમાં ગ્રુપ-એમાં 4 પોઈન્ટ્સ અને +3.050 ના શાનદાર રન રેટ સાથે ટોચ પર છે. પાકિસ્તાન પણ 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ભારત અત્યાર સુધી અમેરિકા અને નામિબિયાને હરાવી ચૂક્યું છે, જ્યારે પાકિસ્તાને નેધરલેન્ડ અને અમેરિકા પર જીત મેળવી છે.
પ્લેઇંગ-11 માં ફેરફારના સંકેત
ચર્ચા છે કે ભારતીય ટીમમાં અભિષેક શર્મા અને કુલદીપ યાદવની એન્ટ્રી થઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાન ભારતને મ્હાત આપવા માટે પાંચ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરે તેવી પણ શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે કોલંબોનું આકાશ ક્રિકેટ પ્રેમીઓને નિરાશ કરે છે કે પછી રવિવારની સાંજ યાદગાર બની જાય છે.

