છેલ્લા થોડા દિવસથી ભવનાથના સાઘુઓનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રધુનાથગીરીના શિષ્ય અને વર્ષોથી ભવનાથ મંદિરના મહંત તરીકેના દાવેદાર અમરગીરી બાપુએ ગિરનાર સાઘુ મંડળના પ્રમુખ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત એવા ઈન્દ્રભારથી સામે ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે. ઈન્દ્રભારથી સામે ભવનાથ ગુરૂશિષ્ય પરંપરાના અમરગીરી મેદાને, નશાકારક પદાર્થ અને છોકરીઓના કારોબાર જેવા ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઇ છે.

કીર્તિ પટેલના સ્નાન બાદ વિવાદ શરૂ થયો
કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યું ત્યારથી શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. વર્ષોથી ભવનાથ મંદિરના મહંત માટે લડાઈ કરતા અને રધુનાથગીરીના શિષ્ય એવા અમરગીરીએ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના આક્ષેપોને સમર્થન આપ્યું છે. તેણે ઈન્દ્રભારથી સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, તેઓ ઈન્દ્રભારથીથી ડરતા નથી, ‘ઈન્દ્રભારથીના રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં જે સંચાલન છે તે એપસ્ટીનની ફાઈલ ખૂલી તેના કરતા પણ વધારે મોટું છે. ઈન્દ્રભારથી દ્વારા આશ્રમના ગેઈટ બંધ રાખવાની બાબત વ્યાજબી નથી.
યુવતીઓ અને નશાનો કાળો કારોબાર
છોકરીઓ લાવતા હોય, ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકેઈન મહાત્માઓ કરતા હોય છે. આ મહાત્માઓનો કરોડો રૂપિયાનો આશ્રમ છે. રાજાઓની જેમ રજવાડી ઠાઠ ભોગવે છે કેમ કે બે નંબરના ધંધા કરે છે.’ સૌથી ચોંકાવનારા આક્ષેપ કર્યા છે કે, ‘ભવનાથને પચાવી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને અમારા ગુરૂભાઈ રમેશગીરી બાપુની હત્યા શંકાસ્પદ છે.’ તેમણે સરકારને વિનંતી કરી છે કે, આ તવો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જેઓ સાઘુના વેશમાં રહી કુકર્મ કરે છે, તેમના કપડાં ઉતરી જવા જોઈએ.
તાત્કાલીક નવા મહંતની નિમણૂકની માગ
અમરગીરીએ ભવનાથ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂક બાબતે કલેક્ટર અને પ્રાંત અધિકારીને વિનંતી કરી છે કે, બંને મંદિરના મહંત તરીકેના નિમણૂક ઓર્ડર વહેલી તકે જારી કરવામાં આવે. આ નિમણૂક પ્રક્રિયા જેટલી જલ્દી પૂર્ણ થાય તેટલું જ ભવનાથનું હિત છે. આ ઉપરાંત અમરગીરીએ વઘુમાં આક્ષેપ કર્યો છે કે, અત્યારે જે મૃગીકુંડમાં ગૃહસ્થીઓએ સ્નાન કર્યાનો વિવાદ ચાલે છે તેમાં સાઘુની સંડોવણી શોભે નહીં, સાઘુ સમાજે મર્યાદા જાળવવી જોઈએ.
શું છે મુખ્ય આરોપ?
અમરગીરી બાપુએ દાવો કર્યો છે કે ભવનાથના કેટલાક સાધુઓ ધર્મની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેમના પક્ષે કરવામાં આવેલા આક્ષેપોમાં નીચે મુજબના મુદ્દાઓ કેન્દ્ર સ્થાને છે.
સીસીટીવી ફૂટેજ અને પુરાવા: બાપુએ દાવો કર્યો છે કે તેમની પાસે એવા વીડિયો અને પુરાવા છે જે સાધુઓના અસલી ચહેરા ઉજાગર કરી શકે તેમ છે.
મહિલાઓનું શોષણ: આક્ષેપ કરવામાં આવ્યો છે કે આશ્રમોમાં ધર્મના નામે આવતી મહિલાઓ અને ભક્તો સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવે છે.
એપસ્ટિન ફાઈલ સાથે સરખામણી: જે રીતે જેફરી એપસ્ટિન દુનિયાના મોટા ગજાના લોકોના સેક્સ સ્કેન્ડલ ચલાવતો હતો, તેવો જ કિસ્સો અહીં પણ હોવાનો ભય વ્યક્ત કરાયો છે.
