ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી અજેય રહેલી ભારતીય ટીમ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે ગ્રુપ સ્ટેજમાં અમેરિકા, નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવીને શાનદાર રીતે સુપર-8માં પ્રવેશ કર્યો છે.

સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ નેટ્સમાં ઈજાગ્રસ્ત
જોકે, સુપર-8ના મહત્ત્વના મુકાબલા શરૂ થાય તે પહેલા જ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે સિરાજ નેટ્સમાં હાર્દિક પંડ્યાને બોલિંગ કરી રહ્યો હતો અને હાર્દિકનો એક જોરદાર શોટ સીધો સિરાજના ઘૂંટણ પર વાગ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે સિરાજને લંગડાતા પગે મેદાનની બહાર જવું પડ્યું હતું.ભારત-સાઉથ આફ્રિકા ટક્કર પહેલા સંકટ
સુપર-8માં ભારતનો પ્રથમ મુકાબલો 22 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે થવાનો છે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા સિરાજની ઈજાએ ટીમ મેનેજમેન્ટની ઊંઘ ઉડાવી દીધી છે, કારણ કે 15 સભ્યોની ટીમમાં સિરાજ એકમાત્ર બેકઅપ ફાસ્ટ બોલર છે.
હર્ષિત રાણાના બદલે સિરાજને મળી હતી તક
ઉલ્લેખનીય છે કે, સિરાજને ઈજાગ્રસ્ત હર્ષિત રાણાના સ્થાને છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. યુએસએ સામેની મેચમાં તેણે 3 વિકેટ લઈને શાનદાર વાપસી કરી હતી, પરંતુ ત્યારબાદ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહોતી. હવે જ્યારે સુપર-8માં ભારતનો સામનો સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમો સામે થવાનો છે, ત્યારે સિરાજની ફિટનેસ ટીમ માટે અત્યંત મહત્ત્વની બની ગઈ છે.
સિરાજની ગેરહાજરીમાં પેસ એટેક પર દબાણ
હાલમાં ભારતીય પેસ એટેકની જવાબદારી જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ સંભાળી રહ્યા છે, પરંતુ બેકઅપ બોલર તરીકે સિરાજનું હોવું જરૂરી છે. મેડિકલ ટીમ અત્યારે સિરાજની ઈજા પર નજર રાખી રહી છે અને જો તે સાઉથ આફ્રિકા સામેની મેચ સુધી ફિટ નહીં થાય, તો ભારતીય ટીમ માટે મુશ્કેલી વધી શકે છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદમાં રમાનારી આ મહત્ત્વની મેચ પહેલા સિરાજ મેદાનમાં પરત ફરી શકે છે કે કેમ.

