જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતી એક પરણીતી એ પોતાના પતિ સાથે બોલાચાલી થતાં મનમાં લાગી આવવાથી એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતી સાધનાબેન ગુલાબભાઈ બગડા નામની ૩૬ વર્ષની પરણીતાએ ગત 18મી તારીખે પોતાના બાથરૂમમાં પડેલું એસીડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પતિ ગુલાબભાઈ હીરાભાઈ બગડાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ.આર.બી. ઠાકોર હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહના કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવતિને જૂની આંચકીની બીમારી હતી, અને તેની દવા ચાલતી હતી. જે દવા લેવા બાબતે, તેમજ જમવા વખતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી, તેમાં તેણીને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
