ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને રવિવારે દક્ષિણ આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર 8માં આ શરમજનક હાર બાદ ટીમની ખૂબ ટીકા થઈ રહી છે. ટીકાનું કારણ હારથી વધુ ટીમના ઈન્ટેન્ટને લઈને છે. કારણ કે 8 નંબર સુધીની બેટિંગ વાળી ટીમ 111ના સ્કોર પર જ ઓલઆઉટ થઈ ગઈ. કોઈ પણ બેટ્સમેને સંઘર્ષ ન કર્યો. ખાસ કરીને ડાબા હાથના બેટ્સમેન ઓફ સ્પિન સામે સંપૂર્ણપણે અસ્વસ્થ નજર આવ્યા.

આ કારમી હાર બાદ હવે ટીમમાં મોટા ફેરફારની માગ પણ ઉઠી રહી છે. ભારતની આગામી મેચ 26 ફેબ્રુઆરીના રોજ ઝિમ્બાબ્વે સામે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મેચમાં બે ફેરફાર થઈ શકે છે.
અક્ષર પટેલની વાપસીની માગ
પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ સહિત ઘણા પૂર્વ ક્રિકેટરોએ ટીમમાં ફેરફાર કરવાની માગ કરી છે. સૌથી વધુ ચર્ચા અક્ષર પટેલને લઈને થઈ રહી છે, જેને છેલ્લી બે મેચમાં તક નથી મળી. પાર્થિવ પટેલનું માનવું છે કે, અક્ષર પટેલને ટીમમાં પાછો લાવવો જોઈએ. તેમણે કહ્યું કે, અક્ષર પટેલ દબાણમાં મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે અને તે બોલિંગમાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેચ-અપની વ્યૂહરચના પોતાની જગ્યાએ છે, પરંતુ અક્ષર જેવો ઓલરાઉન્ડર ટીમ સંતુલન માટે જરૂરી છે.
અભિષેક શર્મા પર ખતરો
પાર્થિવ પટેલે ઓપનિંગ બેટિંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. અભિષેક શર્મા સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો છે, તેનું પ્રદર્શન ફ્લોપ ગયું છે. આવી સ્થિતિમાં તેને બહાર કરવામાં આવી શકે છે. તેણે સંકેત આપ્યો કે, ચેન્નાઈમાં રમાનારી મેચમાં સંજુ સેમસનને તક મળી શકે છે. ડાબા હાથના બેટ્સમેનોને ઓફ-સ્પિન સામે મુશ્કેલી પડી રહી છે, તેથી ટીમ મેનેજમેન્ટ ફેરફાર પર વિચાર કરી શકે છે.
ભારત તરફથી ઈશાન કિશન સૌથી વધુ સફળ બેટ્સમેન રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 177 રન બનાવ્યા છે, જોકે, દક્ષિણ આફ્રિકા સામે તે ખાતું નહોતો ખોલી શક્યો.
હવે ભારતનો આગામી મુકાબલો 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે છે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો જેવી છે, કારણ કે સેમિફાઈનલની રેસમાં બની રહેવા માટે જીત ખૂબ જ જરૂરી છે.

