એનસીઇઆરટીના ધોરણ ૮ના અભ્યાસક્રમમાં ન્યાય વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે જેને લઇને વિવાદ થયો છે. ખુદ સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓમોટો નોંધ લઇને આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે ન્યાય વ્યવસ્થાને બદનામ કરવાની કોઇને પણ છૂટ નહીં આપીએ, કાયદો પોતાનું કામ કરશે.

સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે એનસીઇઆરટીના ધોરણ આઠના વિદ્યાર્થીઓને જ્યૂડિશિયલ કરપ્શન એટલે કે ન્યાયિક ભ્રષ્ટાચાર અંગે ભણાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દાને બાદમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી, વીપુલ એમ પંચોલીની બેંચે આ મુદ્દાની સુઓમોટો નોંધ લઇને સ્વેચ્છાએ જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનસીઇઆરની ધોરણ આઠની સામાજિક વિજ્ઞાાનની બૂકમાં લખાયું છે કે ભ્રષ્ટાચાર, પડતર કેસોની વિશાળ સંખ્યા, જજોની પુરતી સંખ્યાનો અભાવ આ તમામ એ પડકારો છે જેનો ન્યાયિક વ્યવસ્થા સામનો કરી રહી છે. ન્યાયિક વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર નામના હેડિંગ સાથે નવા પાઠયપુસ્તકમાં આ ઉમેરો કરવામાં આવ્યો છે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે મને તમામ પ્રકારની માહિતી છે, હાઇકોર્ટના જજોથી લઇને ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ લોકો ચિંતિત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓમોટો નોંધ લેવાતા જ એનસીઇઆરટીએ ન્યાયિક વ્યવસ્થામાં ભ્રષ્ટાચારવાળા પુસ્તકને વેબસાઇટ પરથી હટાવી લીધુ હતું, હવે સુધારા સાથે બીજુ પુસ્તક પુરુ પાડવામાં આવી શકે છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને વકીલ અભિષેક મનુ સિંઘવીએ વધુમાં જાણકારી આપી હતી કે પાઠયપુસ્તકમાં ભ્રષ્ટાચારના ઉદાહરણ આપવા માટે માત્ર ન્યાયિક વ્યવસ્થાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો, અન્ય ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર નહીં થતો હોય શું? રાજકારણ, સરકારી વિભાગો, જાહેર જનતાઓ કે સંસ્થાઓમાં ભ્રષ્ટાચારનો એક પણ શબ્દ નથી છપાયો. બાદમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યંુ હતું કે એવુ લાગી રહ્યું છે કે બહુ જ ઇરાદાપૂર્વકનો ઉલ્લેખ છે, અમારે વધુ કઇ નથી કહેવું હું આ સમગ્ર મામલાથી જાણકાર છું અને મે મારી ફરજ બજાવી છે.

