ખાનગી ટેલિકોમ કંપનીઓની સરખામણીમાં ઘણી પાછળ રહી ગયેલી સરકારી કંપની બીએસએનએલના ડાયરેક્ટર વિવેક બંઝલ વિવાદોમાં ઘેરાયા છે. વિવેક બંઝલની પ્રયાગરાજની મુલાકાત પાછળ એટલો મોટો ખર્ચો કરવાનું આયોજન હતું કે ખૂદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મામલો પોતાના હાથમાં લેવો પડયો હતો. આ શાહી મુલાકાત પાછળ ડાયરેક્ટર વિવેક બંઝલે ૫૦ જેટલા તો અધિકારીઓને ડયુટી પર લગાવ્યા હતા. વિવાદ વચ્ચે સિંધિયાએ બંઝલ પાસેથી જવાબ માગ્યો છે. ૨૫મી ફેબુ્રઆરીના રોજ બીએસએનએલના ડાયરેક્ટર વિવેક બંઝલ પ્રયાગરાજની મુલાકાતે જવાના હતા, જેને લઇને ૧૯મી ફેબુ્રઆરીએ પ્રોટોકોલ જાહેર કરાયો હતો, જોકે આ પ્રોટોકોલ એટલો તામજામવાળો હતો કે તેને અંતે રદ કરી દેવો પડયો હતો. વિવેક બંઝલે પોતાની આ મુલાકાત માટે ઘણા આદેશ આપ્યા હતા, જેમાં સંગમ સ્નાન બાદ ઉપયોગમાં થનારા કપડા, રૂમાલ, સાબુ, શેમ્પુ, અન્ડરગાર્મેન્ટ્સ, સ્લીપર્સ, દર્પણ વગેરેનો સમાવેશ થાય છે.

આવી કુલ છ કિટ પુરુષો માટે અને બે કિટ મહિલાઓ માટે તૈયાર રાખવા કહ્યું હતું. આ વ્યવસ્થા માત્ર સ્નાન માટે કરવાની હતી, જ્યારે હોટેલ અને સર્કિટ હાઉસમાં ડાયરેક્ટર અને તેની સાથેના લોકો રોકાય તેની પાછળનો ખર્ચો અલગથી થવાનો હતો, જેમાં મોંઘા ડ્રાઇ ફ્રૂટ્સ, ફ્રૂટ બાઉલ, રૂમાલ વગેરેનો સમાવેશ થાય છે. આશરે ૨૦ જેટલા ટાસ્ક માટે ૫૦ જેટલા અધિકારીઓ કે કર્મચારીઓને દોડાવવાની તૈયારી હતી. આ પ્રોટોકોલની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી અને અધિકારીઓ દ્વારા કરાતા ખર્ચાઓ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. મામલો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સુધી પહોંચ્યો હતો, સિંધિયાએ બુધવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે આ બધુ સ્વીકારી શકાય તેમ નથી, કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે, જે કઇ થયું તે ખરેખર આઘાતજનક છે. હાલ બીએસએનએલના ડાયરેક્ટરને બે સપ્તાહમાં જવાબ આપવા નોટિસ મોકલાઇ છે.

